- સિક્કિમમાં સતત વરસાદી આફતથી અનેક લોકો પ્રભાવિત
- મંગન જિલ્લામાં 1,200થી વધુ પ્રવાસીઓ ફસાયા
- રવિવારે એરલિફ્ટ અને રોડ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન
સિક્કિમમાં સતત વરસાદી આફતે તારાજી સર્જી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો, હવામાન સારું રહેશે, તો સિક્કિમના મંગન જિલ્લામાં ફસાયેલા 1,200 થી વધુ પ્રવાસીઓને સિક્કિમથી આજે એટલે કે રવિવારે એરલિફ્ટ અને રોડ મારફતે બહાર કાઢી શકાય છે.
મળતી માહિતી મુજબ, સિક્કિમના ઉત્તર પૂર્વ શહેરમાં હવામાન સતત વણસી રહ્યું છે. બગડતા હવામાનને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભૂસ્ખલન થઈ રહ્યું છે, મકાનો ધરાશાયી થયા છે, મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયું છે, જેના કારણે ત્યાં ફસાયેલા લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ બન્યો છે, સમગ્ર શહેરમાં તબાહીનું દ્રશ્ય છે. દરમિયાન, સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
1,200 પ્રવાસીઓ માટે બચાવ કામગીરી શરૂ
સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, હવામાન સારું રહેશે, તો સિક્કિમના મંગન જિલ્લામાં ફસાયેલા 1,200 થી વધુ પ્રવાસીઓને આજે એટલે કે રવિવારે સિક્કિમમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સિક્કિમના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શેરિંગ થેન્દુપ ભૂટિયા સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવાનું કામ સતત જોઈ રહ્યા છે. જો કે, શનિવારે સાંજે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જો હવામાન સામાન્ય રહેશે તો સિક્કિમના લાચુંગથી એરલિફ્ટ અને રોડ દ્વારા પ્રવાસીઓને બચાવવાનું કામ રવિવારે શરૂ કરવામાં આવશે.
કેટલા પ્રવાસીઓ ફસાયા
પર્યટન અને નાગરિક ઉડ્ડયન સચિવ સીએસ રાવે કહ્યું કે સિક્કિમમાં સતત વરસાદથી તબાહી સર્જાઈ છે, વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને બીજી તરફ કોઈનો સંપર્ક કરવો શક્ય નથી. સીએસ રાવે આ દરમિયાન માહિતી આપી હતી કે 15 વિદેશીઓ સહિત લગભગ 1,215 પ્રવાસીઓ છેલ્લા એક સપ્તાહથી લાચુંગ શહેરમાં ફસાયેલા છે.