ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં લોકો દુર્ગા મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહ્યા હતા ત્યારે બે જુથો વચ્ચે અથડામણ થઈ હતી. વિસર્જન દરમિયાન બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. મળતી માહિતી મુજબ DJને લઈને વિવાદ એટલો વધી ગયો કે પથ્થરમારો અને ફાયરિંગ શરૂ થયું હતું. ચોક્કસ સમુદાયના લોકોનો આરોપ છે કે, વિસર્જન શોભાયાત્રા વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા.


પથ્થરમારો અને ફાયરિંગમાં એક યુવકનું મોત

બન્ને સમુદાયો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો અને ફાયરિંગ શરૂ થયું હતું. પથ્થરમારો અને ફાયરિંગમાં એક યુવકનું મોત થયું હતું. હિંસા બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહરાઈચના હરદીના મહસી મહારાજગંજમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી અરાજકતામાં રેહુઆ મન્સૂરના રહેવાસી 20 વર્ષીય રામ ગોપાલ સહિત બે લોકોને ગોળી વાગી હતી. મળતી માહિતી મુજબ રામ ગોપાલનું અવસાન થયું છે. પથ્થરમારો અને ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

લોકોએ બહરાઇચ-સીતાપુર હાઈવે બ્લોક કર્યો

લોકોએ વિસર્જન યાત્રાને અટકાવીને મહારાજગંજના વિરોધમાં બહરાઇચ-સીતાપુર હાઈવે બ્લોક કરી દીધો હતો. હાઈવે બ્લોક કર્યા બાદ રોષે ભરાયેલા લોકોએ ઘણી જગ્યાએ આગચંપી શરૂ કરી દીધી હતી. આગચંપી દરમિયાન અનેક લોકો ઘાયલ થયા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. કોમી હંગામો બાદ પોલીસે લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને આપી સૂચના

મુખ્યમંત્રીએ અધિકારીઓને બદમાશોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ધાર્મિક સંસ્થાઓ સાથે વાતચીત કરો અને સમયસર મૂર્તિનું વિસર્જન કરો. સીએમ યોગીએ કહ્યું કે, મૂર્તિનું વિસર્જન ચાલુ રહે. દરેકને સુરક્ષાની ખાતરી આપવાની જવાબદારી સરકારની છે. પ્રશાસન અને પોલીસ અધિકારીઓને પણ સ્થળ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સીએમએ કહ્યું કે, જેમની બેદરકારીથી આ ઘટના બની છે તેમની પણ ઓળખ થવી જોઈએ. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પથ્થરમારો અને ફાયરિંગમાં લોકો થયા ઘાયલ

રેહુઆ મન્સૂર નિવાસી 30 વર્ષીય રાજન પણ ગોળીમાં ઘાયલ થયો હતો. તિવારી પૂર્વા નિવાસી 22 વર્ષીય સુધાકર તિવારીને પથ્થરમારામાં માથામાં ઈજા થઈ હતી. સિપાહિયા પુલીના રહેવાસી 42 વર્ષીય વિકલાંગ સત્યવાન અને 52 વર્ષીય અખિલેશ બાજપાઈને પણ ઈજા થઈ હતી, જ્યારે વિસર્જનમાં સામેલ લોકોએ હત્યાના વિરોધમાં મૃતકના મૃતદેહને રાખીને રોડ બ્લોક કર્યો હતો. વિસર્જન માટે જતી તમામ મૂર્તિઓ અટકાવી દેવામાં આવી હતી. પોલીસે તમામને શાંતિ જાળવવા અપીલ કરી છે. હંગામા બાદ વિસ્તારમાં ભારે તણાવ છે.

ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત

એડીજી ઝોન અને ડીઆઈજી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ અધિકારીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે, પરંતુ લોકો તેને માનવા તૈયાર નથી. ફાયરિંગ અને પથ્થરમારા બાદ વિસ્તારમાં ભારે તણાવ છે. મૃતકના સંબંધીઓ અને વિસર્જન સાથે સંકળાયેલા લોકો આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • Follow us on: