જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ બાદ સેનાએ શનિવારે કહ્યું કે, પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ભય અને આતંકનું વાતાવરણ બનાવવા માટે જાણીજોઈને સ્થાનિક લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં બે ભારતીય સૈનિકો અને બે સ્થાનિક કુલીઓનો સમાવેશ થાય છે.


આતંકવાદી હુમલામાં ચાર લોકોના મોત

સેનાના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા ચારમાંથી બે સૈનિક હતા અને બે કાશ્મીરી મુસલમાન સૈન્ય માટે પોર્ટર તરીકે કામ કરતા હતા. શ્રીનગરના સંરક્ષણ પીઆરઓ અનુસાર પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી સેનાની ટીમ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, સતર્ક સૈનિકોએ જડબાતોડ અને મક્કમતાથી જવાબી કાર્યવાહી કરી, જેના કારણે આતંકવાદીઓ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને એક હથિયાર છોડીને ભાગી છૂટ્યા.

આતંકી હુમલામાં 2 જવાનો શહીદ

આ હુમલામાં બે બહાદુર જવાનો શહીદ થયા હતા. જેમાં અનંતનાગના રાઈફલમેન કૈસર અહેમદ શાહ અને હરિયાણાના સિરસાના રાઈફલમેન જીવન સિંહ શહીદ થયા છે. પીઆરઓએ કહ્યું કે, આ જવાનોએ દેશની સુરક્ષા અને આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું. તેમની નિઃસ્વાર્થ સેવા ભારતીય સેનાના સંકલ્પને દર્શાવે છે કે તે રાષ્ટ્ર અને તેના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

આતંકવાદીઓ ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરવા માગે છેઃ સેના

સૈનિકોની સાથે બે કાશ્મીરી પોર્ટર ઝહૂર અહેમદ મીર અને મુશ્તાક અહેમદ ચૌધરી ઉરી તહસીલના રહેવાસીઓએ પણ હુમલામાં જીવ ગુમાવ્યો છે. પીઆરઓ અનુસાર તે સ્પષ્ટ છે કે પાકિસ્તાની આતંકવાદીઓ ઘાટીમાં ભય અને આતંકનું વાતાવરણ બનાવવા માંગે છે, જે હવે શાંતિ અને સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે.

સૈનિકોનું બલિદાન પ્રેરણા આપશે પ્રેરણા આપશે

સેનાએ કહ્યું કે, તે તમામ નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અધિકારીએ કહ્યું કે, સેના આતંકવાદ સામે લડવા અને કાશ્મીર ખીણમાં સૌહાર્દને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોને નિશ્ચિતપણે પૂર્ણ કરશે. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ બહાદુર કાશ્મીરીઓ અને સૈનિકોનું બલિદાન આવનારી પેઢીઓને આતંકવાદ સામે ઊભા રહેવાની પ્રેરણા આપશે.

  • Follow us on: