ઉત્તરપ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ પછી મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. મૃતકના પરિવાર અને ભીડ મૃતદેહ સાથે તાલુકામાં વિરોધ કરવામાં આવ્યો હતો.
લોકોએ કર્યો વિરોધ
આ દરમિયાન લોકોએ પોલીસને પણ ઘેરી લીધી હતી. વાહનો સળગાવ્યા અને દુકાનોને આગ ચાંપી દીધી. સમગ્ર વિસ્તારમાં હાલ વાતાવરણ શાંત હોવા છતાં સ્થિતિ હજુ પણ તંગ છે. મૃતકના ગામમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી. પોલીસ ગામની બહાર એકઠા થયેલા દેખાવકારોને હટાવી રહી છે. હળવા બળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીજીપી સાથે વાત કરી છે અને નવી અપડેટ મેળવી છે. ગૃહ વિભાગના સચિવ સંજીવ ગુપ્તા અને એડીજી કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતાભ યશનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં પિસ્તોલ લઈને બદમાશોનો પીછો કરતા જોવા મળી રહ્યા છે.
કોણ હતો મૃતક રામ ગોપાલ?
પોલીસની સમજાવટ પછી મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર માટે તૈયાર થયા અને રામ ગોપાલ મિશ્રા બહરાઇચના ઘસિયારીપુરાના મંસૂર ગામના રહેવાસી હતો. તેમની ઉંમર 22 વર્ષની હતી. રવિવારે મંસૂર ગામના મહારાજગંજ બજારમાંથી માં દુર્ગાની મૂર્તિ વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન સંગીત વગાડવાને લઈને હિંસા ફાટી નીકળી હતી અને સંઘર્ષ દરમિયાન ગોળી વાગતાં રામ ગોપાલનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા છે.
હિંસા કેવી રીતે ફાટી નીકળી?
એસપી વૃંદા શુક્લાના જણાવ્યા અનુસાર મહસી તાલુકા હેઠળના મહારાજગંજ વિસ્તારમાં જુલૂસ મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી સ્કેન કરી રહી છે. સમગ્ર ઘટનામાં સલમાન નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સલમાનની દુકાનમાંથી જ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાં રામ ગોપાલનું મોત થયું હતું.
શું દર વર્ષે આ માર્ગે પર નીકળતી હતી વિસર્જન યાત્રા?
દર વર્ષે આ માર્ગેથી વિસર્જન યાત્રા નીકળતી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આજ સુધી આ વિસ્તારમાં ક્યારેય કોઈ શોભાયાત્રા કે વિસર્જન દરમિયાન હિંસા થઈ નથી. આ વખતે ડીજે વિરુદ્ધ વાંધાજનક નારા લગાવવાને કારણે હિંસા શરૂ થઈ હતી. આરોપ એવો પણ છે કે, મૃતક રામ ગોપાલે એક જગ્યાએ લીલો ઝંડો ઉખાડીને ભગવો ઝંડો ફરકાવ્યો હતો, ત્યારબાદ વાંધાજનક સૂત્રોચ્ચાર વધુ ઉગ્ર બન્યા હતા.
વાંધાજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો
જે વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો. વાંધાજનક સૂત્રોચ્ચાર બાદ બન્ને જુથો સામસામે આવી ગયા અને થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારા દરમિયાન બીજી બાજુથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં રામ ગોપાલને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. રામ ગોપાલ સિવાય અન્ય કેટલાક લોકોને પણ ગોળી વાગી હોવાના અહેવાલ છે. જો કે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. મહારાજગંજના કબડિયા ટોલામાં 30 બદમાશોની અટકાયત કરવામાં આવી છે.
રામ ગોપાલના લગ્ન બે મહિના પહેલા થયા હતા
હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલના પરિવારમાં તેના માતા-પિતા અને એક મોટો ભાઈ છે. રામ ગોપાલ પરિવારનો નાનો પુત્ર હતો. તેના 2 મહિના પહેલા લગ્ન થયા હતા. તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, હાલ પરિવાર મુખ્યમંત્રીને મળવા પર અડગ છે અને આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી રહ્યો છે. ધારાસભ્ય સુરેશ્વર સિંહ પરિવારના સભ્યોને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે, તેમનું મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પછી પરિવાર અંતિમ સંસ્કાર કરવા સંમત થયો છે.













