જયાં પથ્થરમારો થતો હતો ત્યાં હવે લોકો ડર વિના લોકો હરી ફરી શકે છે... લાલ ચોક કે જ્યાં તિરંગો લહેરાવવામાં ડર લાગતો ત્યાં હવે ગર્વથી તિરંગો લહેરાઇ રહ્યો છે. આ એજ કાશ્મીર છે જ્યાં વિકાસ સાથે દૂર દૂર સુધી સંબંધ ન હતો. પરંતુ હવે કાશ્મીરમાં વિકાસ થઇ રહ્યો છે. તેનું એક ઉદાહરણ જોવા મળશે વંદે ભારત ટ્રેન. જી, હા હવે કાશ્મીરની વાદીઓમાં વંદે ભારત ટ્રેન દોડતી જોવા મળશે.
272 કિમી લાંબો રેલ પ્રોજેક્ટ
જમ્મુ અને કાશ્મીરની ખીણોમાં પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. નવી શરૂ થયેલી જમ્મુ-કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી લીલી ઝંડી આપશે. જે 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને પૂર્ણ કરશે. ટ્રેન વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તે ફક્ત કટરાથી જ ચલાવવામાં આવશે કારણ કે જમ્મુ રેલ્વે સ્ટેશન પર સમારકામ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. એકવાર તે તૈયાર થઈ જાય પછી તેનું સંચાલન જમ્મુથી કરવામાં આવશે.
પ્રવાસન ક્ષેત્રનો થશે વિકાસ
રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વે સેફ્ટી કમિશનરે કટરા અને કાશ્મીર વચ્ચે ટ્રેન સેવાને મંજૂરી આપી હતી. આ ટ્રેન સેવા શરૂ થવાથી જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો મુસાફરીનો સમય પણ ઘણો ઓછો થશે. એટલું જ નહી વંદે ભારત જેવી આધુનિક રેલ સેવાઓ શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે.
પીએમ મોદી જશે ઉધમપુર
આ અંગે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પીએમ મોદી મોદી 19 એપ્રિલે ઉધમપુર પહોંચશે. તેઓ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. પીએમ મોદી લીલી ઝંડી આપતાની સાથે જ કાશ્મીરના લોકોની સીધી રેલ સુવિધાની લાંબા સમયથી ચાલી આવતી માંગ પણ પૂર્ણ થશે. હાલમાં કાશ્મીર ખીણમાં ફક્ત સાંગલદાન અને બારામુલ્લા વચ્ચે અને કટરાથી દેશના બાકીના ભાગોમાં ટ્રેનો ચાલે છે.
સૌથી લાંબી ટનલ
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરને રેલ્વે દ્વારા જોડવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 1997 માં શરૂ થયો હતો પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય ભૌગોલિક અને હવામાનશાસ્ત્રીય પડકારોને કારણે તેનું પૂર્ણ થવામાં વિલંબ થયો હતો. આ પ્રોજેક્ટમાં કુલ 119 કિમી લંબાઈની 38 ટનલનો સમાવેશ થાય છે જેમાં સૌથી લાંબી ટનલ T-49 છે જે12.75 કિમી લાંબી છે. તે દેશની સૌથી લાંબી પરિવહન ટનલ પણ છે. આ પ્રોજેક્ટમાં કુલ 13 કિલોમીટર લંબાઈવાળા 927 પુલનો પણ સમાવેશ થાય છે. આમાં પ્રતિષ્ઠિત ચેનાબ પુલનો સમાવેશ થાય છે, જેની કુલ લંબાઈ 1315 મીટર છે. તેનો કમાન વિસ્તાર 467 મીટર છે અને તે નદીના પટથી 359 મીટર ઉપર છે. એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો હોવાથી, તે વિશ્વનો સૌથી ઊંચો કમાનવાળો રેલ્વે પુલ હશે.













