લોકસભામાં વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર વકફ મિલકતોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો, કોંગ્રેસે તેને ફગાવી દીધો હતો. તો સાથે જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તો સાથે જ લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરતા સમયે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજૂએ પણ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
વિપક્ષ માત્ર ભ્રમ ફેલાવે છેઃ અમિત શાહ
વકફ બિલ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં સંબોધન કરતાં વિપક્ષને આડે હાથ લીધો હતો. અને વિપક્ષ માત્ર ભ્રમ ફેલાવવાનું કામ કરતું હોવાનું જણાવ્યુ હતુ. વકફ શબ્દનો અર્થ "દાન" છે એવું ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ. તો સાથે જ કહ્યુ હતુ કે, સરકારી સંપત્તિઓનું દાન નહી કરાય અને વિપક્ષ માત્ર વોટબેંક માટે વિરોધ કરતું હોવાનું અમિત શાહે જણાવ્યુ હતુ. લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન, કર્ણાટકમાં વકફ બોર્ડના મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતી અને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર વકફ કાયદા દ્વારા દર વર્ષે 440 કરોડ રૂપિયા કમાઈ રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, શું તમે કોઈ મસ્જિદ કે મદરેસામાંથી પૈસા લીધા છે? તમારે આનો જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે આનો સખત વિરોધ કર્યો હતો.
ભાજપ-કૉંગ્રેસ આમને સામને
અનુરાગ ઠાકુરના આરોપો પર, કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે સખત વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, તેઓ ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અમારા નેતા પર હુમલો કરી રહ્યા છે. તે પોતાની જાતિવાદી વિચારસરણી બહાર લાવી રહ્યો છે. વેણુગોપાલના આ નિવેદનથી ચર્ચા વધુ ગરમાઈ ગઈ. જવાબમાં ઠાકુરે કહ્યું, “મેં કોઈની જાતિનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તમે તમારો સાચો રંગ બતાવી દીધો છે.
ભાજપ અને કોંગ્રેસના દાવા
આ ચર્ચા વકફ બિલ પર ચર્ચા દરમિયાન થઈ હતી. ભાજપનો દાવો છે કે આ બિલનો હેતુ વકફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા લાવવાનો અને રાજ્ય વકફ બોર્ડની સત્તાઓનું સંતુલન કરવાનો છે. આ બિલ વક્ફ બોર્ડમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારનો અંત લાવશે. જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો તેને "ગેરબંધારણીય" અને "મુસ્લિમ અધિકારો પર હુમલો" ગણાવી રહ્યા છે. કર્ણાટકમાં વકફ બોર્ડ સંબંધિત વિવાદોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે.