- કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ
- કેરળની શાળામાં અભ્યાસ કરતા નાના બાળકે સેનાને લખ્યો પત્ર
- ધોરણ 3માં અભ્યાસ કરતા બાળકના પત્રનો સેનાએ આપ્યો જવાબ
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. વાયનાડમાં ભયાનક ભૂસ્ખલનની તસવીરો વચ્ચે એક એવી તસવીર સામે આવી છે જે રાહત આપનારી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો ધોરણ 3ના વિદ્યાર્થીએ સેનાને લખેલા પત્રનો છે. કેરળના એક વિદ્યાર્થીએ ભારતીય સેનાને મલયાલમ ભાષામાં પત્ર લખ્યો છે. આ પત્ર પર ભારતીય સેનાએ પણ પ્રતિક્રિયા આપી છે.
ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ભારતીય સેનાને મલયાલમમાં લખ્યો પત્ર
કેરળની એક સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા વાલે રેયાને ભારતીય સેનાને આ પત્ર મલયાલમમાં લખ્યો છે. સેનાએ પણ રેયાનના આ પત્ર પર જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ પત્ર અને સેનાના જવાબ પર યૂજર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યૂજર્સે લખ્યું કે, ખરાબ સમયમાં આ તસવીરને જોવાથી દિલ ખુશ થઈ જાય છે.
ધોરણ 3ના વિદ્યાર્થીએ પત્રમાં શું લખ્યું?
રેયાને પત્રમાં લખ્યું કે, ડિયર ઈન્ડિયન આર્મી મારા પ્રિય વાયનાડમાં ભૂસ્ખલનને ભારે વિનાશ કર્યો છે. કાટમારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરતા તમને જોઈ મને ગર્વ અને ખુશી મળી. તે વીડિયો જોઓ જેમાં તમે ભૂખ સંતોષવા માટે બિસ્કિટ ખાઈ રહ્યા છો અને પુલનું નિર્માણ કરી રહ્યા છો. આ દ્રશ્યે ઘણું પ્રભાવિત કર્યું અને પ્રેરણા આપી. હું પણ એક દિવસ ભારતીય સેનામાં સામિલ થઈને આપણા દેશની રક્ષા કરીશ.
ભારતીય સેનાએ પત્રનો આપ્યો જવાબ
ઈન્ડિયન આર્મીએ રેયાનના પત્રનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. પત્રને શેર કરીને લખ્યું કે, ડિયર રેયાન તમારા હૃદયમાંથી નીકળેલા શબ્દો અમને ઊંડે સુધી સ્પર્શી ગયા છે. આપત્તિના સમયમાં આશાનું કિરણ બનવું અમારું લક્ષ્ય છે અને તમારો આ પત્ર અમારા મિશનની પુષ્ટિ કરી રહ્યો છે. તમારા જેવા હીરો અમને સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપે છે. અમે તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તમે આર્મી વર્ધી પહેરીને અમારી સાથે ઉભા રહેશો. આપણે સાથે ઊંભા રહીને આપણા દેશને ગૌરવ અપાવવા માટે કામ કરીશું. યુવાન યોદ્ધા, તમારી હિંમત અને પ્રેરણા બદલ આભાર.
વાયનાડમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંકમાં થયો વધારો
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. વાયનાડમાં મૃત્યુઆંક વધીને 358 થયો છે. આ પહેલા ISROએ એક સેટેલાઈટ તસવીર લીધી હતી અને અનુમાન લગાવ્યું હતું કે, કેરળમાં 13 ફૂટબોલ સ્ટેડિયમના મેદાન જેટલા ભાગમાં તબાહી થવા પામી છે. વાયનાડમાં ભારતીય સેના દ્વારા સતત બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.