અરવલ્લી જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજરોજ કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કાળિયા ઠાકોર એટલે કે શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી મંદિરે પહોંચી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર' અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.
સવારે 6:00 વાગ્યે ખુલ્યા દ્વાર અને મંગળા આરતીનો મહિમા
જન્માષ્ટમીના પાવન અવસર પર વહેલી સવારે 6:00 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. દ્વાર ખુલતાની સાથે જ શામળિયાના મંગળા દર્શન કરવા માટે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. સનાતન પરંપરામાં અને ખાસ કરીને શામળાજી તીર્થક્ષેત્રમાં જન્માષ્ટમીના દિવસે મંગળા દર્શનનું વિશેષ અને અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. ઠાકોરજીના આ મનોરમ્ય રૂપને જોઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

શામળિયાનો પંચામૃત અભિષેક અને વિશેષ શૃંગાર
મંગળા આરતીના સંપન્ન થયા બાદ શામળિયા ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ અને સાકર જેવા પવિત્ર દ્રવ્યો વડે વૈદિક મંત્રોચ્ચાર સાથે 'પંચામૃત અભિષેક' કરવામાં આવ્યો હતો. આ ખાસ દિવસ નિમિત્તે ભગવાનને વિશેષ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા છે. પંચામૃત સ્નાન બાદ ભગવાનનો નયનરમ્ય શૃંગાર જોઈને દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.
https://twitter.com/sandeshnews/status/2095691981955711217
મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને કર્યું સુચારુ આયોજન
જન્માષ્ટમી નિમિત્તે ઉમટી પડેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા દર્શન માટે અલાયદી અને વ્યવસ્થિત લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સિક્યોરિટી અને સ્વયંસેવકો તૈનાત કરાયા છે. આ સાથે સાથે અરવલ્લી પોલીસ પણ સુરક્ષાના કડક બંદોબસ્તમાં તૈનાત છે, જેથી તમામ ભક્તો શાંતિપૂર્ણ રીતે કાળિયા ઠાકોરના દર્શન કરી શકે.


આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...