વીરતાના પ્રતીકનું રહસ્યમય અંત

346 વર્ષ પહેલાં,3 એપ્રિલ 1680ના રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.માત્ર 50 વર્ષની વયે થયેલું તેમનું અવસાન આજે પણ ઇતિહાસકારોમાં ચર્ચાનો વિષય છે.1674માં ગાદી સંભાળ્યાના માત્ર છ વર્ષમાં જ તેમનું નિધન થયું, જેને કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

ખરેખર ઝેર આપવામાં આવ્યું હતું?

શિવાજી મહારાજના મૃત્યુ અંગે 'ઝેર' આપવાની થિયરી પાછળનું મુખ્ય કારણ તે સમયની દરબારી રાજનીતિ હતી માનવામાં આવે છે.તે સમયે તેમના મોટા પુત્ર સંભાજી મહારાજ પન્હાલા કિલ્લામાં હતા.દરબારમાં ઉત્તરાધિકારને લઈને ખેંચતાણ ચાલતી હતી.મહારાજની પત્ની સોયરાબાઈ પોતાના પુત્ર રાજારામને ગાદી પર બેસાડવા માંગતા હતા.આ પારિવારિક અને રાજકીય તણાવને કારણે એવી અફવા ફેલાઈ હતી કે મહારાજને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું.જોકે, મોટાભાગના ઇતિહાસકારો આ વાતને નકારે છે.તેમનું કહેવું છે કે જો ઝેર આપવામાં આવ્યું હોત તો સંભાજી મહારાજે સત્તા સંભાળ્યા પછી તે તમામ દોષિતોને તાત્કાલિક મૃત્યુદંડ આપ્યો હોત.

ઇતિહાસકારોનો શું મત છે?

વિખ્યાત ઇતિહાસકારોના મતે શિવાજી મહારાજનું મૃત્યુ બીમારીને કારણે થયું હોવાનું માને છે.
સર જદુનાથ સરકારે લખેલા શિવાજી એન્ડ હિઝ ટાઈમ્સ પુસ્તકમાં જણાવ્યા અનુસાર સતત યુદ્ધ અને અતિશય પરિશ્રમને કારણે મહારાજનું સ્વાસ્થ્ય લથડ્યું હતું.માર્ચ 1680ના અંતિમ અઠવાડિયામાં તેમને ભારે તાવ અને લોહીના ઝાડા થયા હતા.તેમના કારણે મૃત્યુ થયું હતું.
જેમ્સ ડફએ લખેલા હિસ્ટ્રી ઓફ ધ મરાઠાસ નામના પુસ્તકમાં તે સમયે ફેલાયેલી અફવાઓનો ઉલ્લેખ કર્યો છે.પરંતુ સત્તાવાર મરાઠા દસ્તાવેજોના આધારે તે પણ બીમારીને જ સાચું કારણ માને છે.

અંતિમ પળોમાં સ્વરાજની ચિંતા
કહેવાય છે કે હનુમાન જયંતિના દિવસે શિવાજી મહારાજે અંતિમ શ્વાસ લીધા. પોતાની મૃત્યુ નજીક જોઈને તેમણે મંત્રીઓને બોલાવ્યા હતા અને તેમની પાસેથી સ્વરાજની રક્ષા કરવાનું વચન લીધું હતું.રાજ્યમાં અસ્થિરતા ન ફેલાય તે માટે તેમના મૃત્યુના સમાચાર થોડા દિવસો સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા.
ભલે કેટલાક લોકો તેમના મૃત્યુને રહસ્ય માનતા હોય, પરંતુ ઐતિહાસિક પુરાવાઓ કુદરતી બીમારી તરફ જ ઈશારો કરે છે. છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ કેવી રીતે થયું તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તેમણે માત્ર 50 વર્ષના જીવનમાં શૂન્યમાંથી સર્જન કરીને એક અજેય સામ્રાજ્ય ઉભું કર્યું, જે આજે પણ ભારત માટે ગૌરવ સમાન છે.

  • Follow us on: