ભારતીય બંધારણના ભાગ II (કલમ 5 થી 11) નાગરિકતા સંબંધિત જોગવાઈઓ પ્રદાન કરે છે.
નાગરિકતા માટે કયા પુરાવા જોઇએ ?
દેશમાં એકલ નાગરિકતાની વ્યવસ્થા છે. જેનો અર્થ છે કે વ્યક્તિ ફક્ત ભારતનો નાગરિક હોઈ શકે છે. તેઓ એકસાથે બીજા દેશનું નાગરિકત્વ રાખી શકતા નથી. ભારતમાં નાગરિકતા જન્મ, વંશ અને અરજી દ્વારા આપવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ, આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ મુખ્યત્વે ઓળખ અને પ્રવાસ દસ્તાવેજો છે. આને નાગરિકતાના અંતિમ અથવા અકાટ્ય કાનૂની પુરાવા ગણી શકાય નહીં. ભારતમાં અંતિમ નાગરિકત્વ ફક્ત 1955ના નાગરિકત્વ અધિનિયમ હેઠળ જ નક્કી થાય છે.
ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાની પાંચ રીત:-
1955ના નાગરિકત્વ અધિનિયમ હેઠળ, વ્યક્તિ ફક્ત નીચેની પદ્ધતિઓ દ્વારા જ ભારતીય નાગરિક બની શકે છે:-
જન્મ દ્વારા: 26 જાન્યુઆરી 1950ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલા વ્યક્તિઓ
વંશ દ્વારા: ભારતની બહાર જન્મેલા વ્યક્તિઓ, જો તેમના માતાપિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય.
નોંધણી દ્વારા: ભારતીય મૂળના વ્યક્તિઓ અથવા ભારતીય નાગરિક સાથે લગ્ન કરનારાઓ, અરજી કરે છે.
કુદરતીકરણ દ્વારા: વિદેશી નાગરિકો કે જેઓ ચોક્કસ સમયગાળા માટે ભારતમાં રહ્યા છે. તેઓ ચોક્કસ માપદંડો પૂર્ણ કરીને નાગરિકત્વ મેળવી શકે છે.
પ્રવેશ દ્વારા: જો કોઈ નવો પ્રદેશ ભારતમાં જોડવામાં આવે છે. તો ત્યાંના રહેવાસીઓ આપમેળે ભારતીય નાગરિક બની જાય છે.
નાગરિકત્વ સમાપ્ત કરવાના નિયમોઃ-
ભારતનું બંધારણ બેવડી નાગરિકત્વને મંજૂરી આપતું નથી. ભારતમાં નાગરિકત્વ આ ત્રણ પદ્ધતિઓ દ્વારા સમાપ્ત કરી શકાય છે.
નાગરિકત્વનો ત્યાગ: જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ તેમની ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરે છે.
નાગરિકતા સમાપ્ત કરવી: જો કોઈ ભારતીય નાગરિક બીજા દેશનું નાગરિકત્વ મેળવે છે, તો તેમની ભારતીય નાગરિકતા કાયદેસર રીતે તાત્કાલિક સમાપ્ત થઈ જાય છે.
સરકાર દ્વારા વંચિત રહેવું: જો કોઈએ છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અથવા રાજદ્રોહ દ્વારા નાગરિકત્વ મેળવ્યું હોય, તો કેન્દ્ર સરકાર તેમને નાગરિકત્વથી વંચિત કરી શકે છે.
નાગરિકતા સુધારો નિયમો, 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા (સુધારા) નિયમો, 2026ને સૂચિત કર્યા છે. આ નિયમો હેઠળ, ડ્યુઅલ પાસપોર્ટ ધરાવતા સગીર બાળકો પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ભારતના વિદેશી નાગરિકોની નોંધણી અને ત્યાગની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવામાં આવી છે.
નાગરિકતા સુધારો કાયદો: આ કાયદો ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને સરળ પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ કરે છે. તેની સમગ્ર પ્રક્રિયા ભારતીય નાગરિકતા ઓનલાઈન પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચોઃ પહેલી જુલાઈથી પાસપોર્ટ કઢાવવો થશે મોંઘો, કેન્દ્ર સરકારે ફીમાં કર્યો તોતિંગ વધારો













