તમે મહાભારતના સમયની એ કથા તો સાંભળી જ હશે જેમાં દ્રૌપદીએ પાંચ પાંડવ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. સામાન્ય રીતે આજના સમયમાં આવી ઘટના અશક્ય લાગે, પરંતુ ભારતના કેટલાક પહાડી વિસ્તારોમાં હજુ પણ એક એવી પરંપરા જોવા મળે છે જ્યાં એક જ સ્ત્રી પરિવારના એકથી વધુ ભાઈઓ સાથે વૈવાહિક સંબંધ બાંધે છે. હિમાલયની કેટલીક વસાહતોમાં આ પ્રથા ઈતિહાસ અને પરિસ્થિતિઓ સાથે જોડાયેલી માનવામાં આવે છે.
આ પરંપરા ક્યાં જોવા મળે છે?
થોડા સમય પહેલાં હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં આવેલા ટ્રાન્સ ગિરી વિસ્તારમાં બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પરંપરાગત રીત-રિવાજો અનુસાર અનેક દિવસો સુધી ઉજવાયા હતા અને ગામના ઘણા લોકો તેમાં જોડાયા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, બંને વરરાજાઓ અને યુવતીએ પોતાની સહમતિથી આ સંબંધ સ્વીકાર્યો હતો. આ વિસ્તારનો સમુદાય હટ્ટી જનજાતિ તરીકે ઓળખાય છે, જેને ત્રણ વર્ષ પહેલાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હતો. સ્થાનિક ભાષામાં આવા લગ્નોને જોડીદાર અથવા જજદા તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રથાનું કારણ શું છે?
સિરમૌર સિવાય ઉત્તરાખંડના જૌંસર બાવર વિસ્તાર તેમજ કિન્નૌર પ્રદેશમાં પણ ભૂતકાળમાં આવી પ્રથાના ઉદાહરણો જોવા મળ્યા હતા. 1970 અને 1980 પછી આવા બનાવોમાં ઘટાડો નોંધાયો, પરંતુ ક્યારેક આજેય આવા કિસ્સાઓ સામે આવે છે. માનવામાં આવે છે કે મર્યાદિત ખેતીલાયક જમીન અને કુટુંબની સંપત્તિનું વિભાજન અટકાવવા માટે પહાડી વિસ્તારોમાં આ રીત સ્વીકારવામાં આવી. આ પ્રથા દ્વારા પરિવાર એકજૂટ રહે અને જમીનના ટુકડા ન થાય તે હેતુ રહેલો છે. ઉપરાંત, દૂરસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને કૃષિ સંચાલન જેવી બાબતો પણ કારણરૂપ માનવામાં આવે છે. બાળકોની જવાબદારી સમગ્ર પરિવાર વહેંચે છે, જોકે પરંપરા મુજબ મોટાભાઈને કાયદેસર પિતા માનવામાં આવે છે.
કાનૂની અને સામાજિક પરિપ્રેક્ષ્ય
ભારતીય કાયદા મુજબ સામાન્ય રીતે એકથી વધુ પતિ અથવા પત્ની સાથેનો લગ્ન સંબંધ માન્ય નથી. છતાં, હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં મહેસૂલ દસ્તાવેજોમાં જોડીદાર પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. સ્થાનિક વડીલો કહે છે કે આવા લગ્નો સમાજની સહમતિથી થાય છે, પરંતુ આજે તેમની સંખ્યા ખૂબ જ ઓછી છે અને આવા બનાવો ભાગ્યે જ જાહેર ચર્ચામાં આવે છે.
આ પણ વાંચો- Bollywood : ભગવાન શિવ પર બનેલી આ ફિલ્મોએ હલાવી દીધું બોક્સ ઓફિસ, એકે તો 600 કરોડથી વધુની કમાણી કરી!