ભારતીયો ફક્ત ઉત્સવપ્રિય નહીં પરંતુ સ્વાદના પણ શોખીન છે. તહેવારોમાં વિવિધતા છે તેમ ભોજન અને સ્વાદમાં પણ વિવિધતા પસંદ છે. ભલે, નૂડલ્સ અને પિઝા જેવા વિદેશી પકવાન હોય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા મેગીના ભજિયાની જેમ ભારતીય ટચ મળે છે. ભજિયા, દાળવડાં જેવી વાનગી વાનગીઓમાં તેલનો ભરપૂર ઉપયોગ થાય છે. ખોરાકનો સ્વાદ વધારવા તેલનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવું ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર નજર રાખતી દેશની સૌથી મોટી સંસ્થા FSSAI કહે છે.
વધુ પડતું તેલ ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક
FSSAIના જણાવ્યા મુજબ સ્વાદના શોખીન ભારતીયો કેટલું અને કેવા પ્રકારનું તેલ ખાય છે તેમાં ધ્યાન રાખતા નથી. અને એટલે જ આજકાલ લોકોમાં ઉધરસ, વહેલા વાળ સફેદ થવા જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી લઈને હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી દુર્લભ બીમારીનું પ્રમાણ વધ્યું છે. વધુ પડતું તેલ ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક સમસ્યાનું જોખમ રહે છે. આ તેલમાં કેલેરીનું પ્રમાણ વધુ હોવાથી કોલેસ્ટ્રોલ વધારે છે અને બ્લોકેજ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગોનું જોખમ વધારે છે. આ ઉપરાંત એકવાર ઉપયોગ કર્યા પછી તેલનો ફરી ઉપયોગ ના કરવો જોઈએ.













