ઉનાળાની ઋતુનું 'સુપરફૂડ' છે તરબૂચ. આ ફળમાં 90% થી વધુ પાણી હોવાની સાથે-સાથે ભરપૂર પોષક તત્વો પણ મળી આવે છે, જે ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખે છે. પરંતુ, આ ઋતુમાં ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) ના ઘણા ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકોના મોત પણ થયા છે. આ જ કારણે હવે લોકો તરબૂચ ખાતા ડરી રહ્યા છે. વાચકોના મનમાં પ્રશ્ન એ છે કે, શું ખરેખર તરબૂચ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે? અને તેના માટે કયા પરિબળો જવાબદાર છે? આવો જાણીએ ડોક્ટર શું કહે છે.
શું તરબૂચ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ
ડોક્ટર કહે છે કે તરબૂચમાં એવું કંઈ નથી જે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે. આ સમયે ભેજ અને ગરમી ખૂબ વધારે હોય છે. આ ઋતુમાં, જો તમે કોઈપણ ફળ કાપીને તેને ઘણા કલાકો સુધી રાખો છો, તો તેમાં બેક્ટેરિયા વધશે. જેનાથી બીમારીનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં તે ફળ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આ ફક્ત તરબૂચ પર જ નહીં, પરંતુ અન્ય તમામ ફળો પર પણ લાગુ પડે છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તેને કાપીને રાખવામાં આવે ત્યારે બેક્ટેરિયા ઝડપથી વધે છે. જો કોઈ ઘણા કલાકો અથવા 1-2 દિવસથી કાપેલા ફળ ખાય છે, તો તે ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. ઉનાળામાં કાપેલા ફળ ખાવાનું ટાળવું જોઈએ.













