આજકાલ અસહ્ય માસિક સ્રાવનો દુખાવો, થાક અને મૂડ સ્વિંગ સ્ત્રીઓ માટે એક સામાન્ય અને ગંભીર સમસ્યા બની રહી છે. આ વધતી સમસ્યાઓ પાછળ આપણી ખાણી-પીણીની ખોટી આદતો અને આહારની બેદરકારી મુખ્ય જવાબદાર છે. નિષ્ણાતોના મતે, આપણો ખોરાક માસિક સ્રાવના દુખાવા અને તેની તીવ્રતા પર સીધી અસર કરે છે. ગાયનેકોલોજીસ્ટના મતે શરીરમાં આયર્ન, મેગ્નેશિયમ અને અન્ય આવશ્યક પોષક તત્વોનો અભાવ માસિક ધર્મના દિવસોને વધુ મુશ્કેલ અને પીડાદાયક બનાવી શકે છે.

આયર્નની ઉણપ રક્તસ્ત્રાવને વધારે છે

શરીરમાં આયર્નની ઉણપ ખાસ કરીને માસિક રક્તસ્ત્રાવને વધારે છે, કારણ કે માસિક રક્તસ્ત્રાવ દરમિયાન શરીરમાંથી આયર્નનું સ્તર ઘટે છે. જો આ સ્તર ખૂબ નીચું જાય, તો તે ભારે થાક, અશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને ગંભીર મૂડ સ્વિંગ તરફ દોરી જાય છે. આ સમસ્યાથી બચવા માટે આહારમાં પાલક, મસૂર, રાજમા અને માંસાહારી લોકોએ લાલ માંસનો સમાવેશ કરવો જોઈએ. વળી, આયર્નના ઉત્તમ શોષણ માટે લીંબુ, ટામેટાં અને નારંગી જેવા વિટામિન સી યુક્ત ખોરાક પણ ખૂબ જરૂરી છે.

આહરમાં આજે જ સામેલ કરો આ વસ્તુઓ

આ ઉપરાંત, મેગ્નેશિયમની ઉણપ પણ માસિક સ્રાવ દરમિયાન ભારે દુખાવા (ડિસમેનોરિયા)નું કારણ બને છે, કારણ કે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. કોળાના બીજ, બદામ, કેળા અને ડાર્ક ચોકલેટ જેવા આહાર લેવાથી પેઇનકિલર્સની જરૂરિયાત પણ ઓછી થઈ શકે છે. સાથે જ, ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરતા તત્વો સામે લડવા માટે ઓમેગા-3 ફેટી એસિડ અત્યંત ગુણકારી છે. આહારમાં અખરોટ, શણના બીજ અને સૅલ્મોન જેવી ચીજો સામેલ કરવાથી પીડામાં રાહત મળે છે. માસિક ધર્મના દુખાવાને માત્ર દવાઓથી જ નહીં, પરંતુ યોગ્ય અને સંતુલિત આહાર દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે.

આ પણ વાંચોઃ Russia-Ukraine War : ઝેલેન્સકીએ એવું તો શું કહ્યુ કે પુતિને કિવ અને ઓડેસા પર કર્યો ધડાધડ મિસાઇલ હુમલો