જો તમે વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા હોવ અથવા નવો પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત સરકાર દ્વારા પાસપોર્ટ (સુધારા) નિયમો, 2026 હેઠળ પાસપોર્ટ ફીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નવા સુધારેલા શુલ્ક 1 જુલાઈ, 2026 થી અમલમાં આવશે, જેની સીધી અસર નવા અરજદારો અને પાસપોર્ટ રીન્યુ કરાવનારા લોકો પર પડશે.
નવી ફીનું માળખું
સરકારના નવા નિર્ણય મુજબ, સામાન્ય 36 પેજના પાસપોર્ટ અથવા તેના રી-ઇશ્યુ માટેની ફી 1500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે. આ જ રીતે, જે લોકો તાત્કાલિક સેવા (તત્કાલ) દ્વારા પાસપોર્ટ મેળવવા માંગે છે, તેમણે હવે 3500 ને બદલે 5000 રૂપિયા ચૂકવવા પડશે. 60 પેજના પાસપોર્ટ માટે પણ ફીમાં મોટો વધારો થયો છે; નવો કે રી-ઇશ્યુ પાસપોર્ટ માટે હવે 2000 ને બદલે 3500 રૂપિયા અને 60 પેજના તત્કાલ પાસપોર્ટ માટે4000 ને બદલે 6000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. ખોવાયેલા કે ક્ષતિગ્રસ્ત પાસપોર્ટના કિસ્સામાં પણ ફીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
પરિવાર અને મુસાફરો પર અસર
એકલા પ્રવાસીઓ માટે આ ફી વધારો કદાચ નજીવો લાગી શકે છે, પરંતુ જે પરિવારો એકસાથે અનેક સભ્યોના પાસપોર્ટ બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ વધારાનો ખર્ચ ચોક્કસપણે બોજારૂપ સાબિત થશે. સરકાર દ્વારા આ પગલું વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે લેવામાં આવ્યું હોવાનું મનાય છે.
સમયસર પાસપોર્ટ રિન્યુ કરાવો
નિષ્ણાતોની સલાહ છે કે, જો તમારા પાસપોર્ટની સમયસીમા પૂરી થવા આવી હોય અથવા પાના ભરાઈ ગયા હોય, તો છેલ્લી ઘડી સુધી રાહ જોવી જોખમી બની શકે છે. ઘણા દેશોના વિઝા નિયમો મુજબ મુસાફરી સમયે પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી છ મહિનાની હોવી અનિવાર્ય છે. એરલાઇન્સ પણ ઓછી માન્યતા ધરાવતા પાસપોર્ટ ધારકોને બોર્ડિંગ નકારવાની સત્તા ધરાવે છે. તેથી, પ્રવાસનું આયોજન કરતા પહેલા પાસપોર્ટની સમાપ્તિ તારીખ તપાસવી અત્યંત આવશ્યક છે.
જે લોકો વારંવાર વિદેશ પ્રવાસ કરે છે, તેમના માટે 36 પાનાને બદલે 60 પાનાનો પાસપોર્ટ વધુ સારો અને આર્થિક વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં પેજ જલ્દી ખૂટતા નથી અને તેને વારંવાર રી-ઇશ્યુ કરાવવાની જરૂર પડતી નથી. તમારી નાણાકીય તૈયારીઓ અત્યારથી જ આ નવા નિયમોને ધ્યાનમાં રાખીને કરશો તો પ્રવાસ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.
આ પણ વાંચોઃ Bank Holidays in July 2026: બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો, જુલાઈમાં 12 દિવસ બેંકો રહેશે બંધ