• બિહારના રાજકારણમાં બાહુબલિઓની પહેલેથી બોલબાલા રહી છે. અસંખ્ય ગુનાઓ જેની સામે નોંધાયેલા છે એવા માફિયાઓ પોતે ચૂંટણી લડી શકે એમ નથી એટલે હવે એ બધાએ પોતાની પત્નીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે!
  • ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા એ પછી સ્થિતિ ઘણી સુધરી છે. માફિયાઓને સમજાઇ ગયું છે કે, કંઇ કરવા જશું તો આવી બનશે. યુપી અને બિહારનું રાજકારણ દેશના બીજા રાજ્યો કરતા બહુ જુદું છે!

એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકારણમાં માફિયાઓની બોલબાલા હતી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એરિયા પ્રમાણે બાહુબલિઓ હતા. બિહારની સ્થિતિ પણ એવી જ હતી. ઉત્તર પ્રદેશનું ચિત્ર હવે ઘણું બધું બદલી ગયું છે. જ્યારથી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેણે બાહુબલિઓને વીણી વીણીને સાફ કરી નાખ્યા છે. જે બાકી છે એણે પણ પોતાની માયાજાળ સંકેલી લીધી છે. બિહારમાં ફેર એટલો પડ્યો છે કે, હવે માફિયાઓ પોતે ચૂંટણી નથી લડતા પણ પોતાની પત્નીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. આ વિષે એવું પણ કહી શકાય કે, પત્નીને જીતાડીને માફિયાઓએ બેકસિટ ડ્રાઇવિંગ કરવું છે. બિહારના ચાર માફિયાઓની પત્નીઓ અત્યારે ચૂંટણીના મેદાનમાં છે. માફિયાઓની પત્ની હોય એટલે એની પણ ધાક તો રહેવાની જ છે. બે માથાભારે મહિલાને મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતાદળ યુનાઇટેડે ટિકિટ આપી છે. બીજી બે મહિલાને લાલુ અને તેના દીકરા તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીની ટિકિટ મળી છે. ગુનાખોરી અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની મોટી મોટી વાતો કરતા બિહારના બંને ખમતીધર પ્રાદેશિક પક્ષો જીતવા માટે કંઇપણ ખેલ ખેલી શકે છે એનું આ ઉદાહરણ છે. બિહારમાં ભારતીય જનતા પક્ષ અને જનતાદળ યુનાઇટેડ સાથે મળીને ચૂંટણી લડે છે. લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન પણ એનડીએનો હિસ્સો છે. સામા પક્ષે આરજેડી, કોંગ્રેસ અને બીજા નાના પક્ષોએ ગઠબંધન કર્યું છે. બિહારની લોકસભાની 40 બેઠકોમાં જ્યાંથી બાહુબલિઓની પત્ની ચૂંટણી મેદાનમાં છે એની ચર્ચા સહુથી વધારે થઇ રહી છે!

સૌથી પહેલા વાત કરીએ બાહુબલિ નેતા આનંદ મોહનની. આનંદ મોહન ખુદ બિહારની શિવહર બેઠક પરથી બે વખત સંસદની ચૂંટણી જીત્યા છે. આ વખતે જનતાદળ યુનાઇટેડે આનંદ મોહનને નહીં પણ તેની પત્ની લવલી આનંદને ટિકિટ આપી છે. આનંદ મોહન આજીવન કેદની સજા ભોગવી ચૂક્યા છે. 1994માં ગોપાલગંજના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ જી. ક્રિષ્નૈયાની હત્યા થઇ હતી. આ કેસમાં પહેલા તો અદાલતે આનંદ મોહનને ફાંસીની સજા ફરમાવી હતી. બાદમાં સજા ઘટાડીને ફાંસીમાંથી ઉમરકેદ કરવામાં આવી હતી. ગયા વર્ષે એપ્રિલ, 2023માં જ આનંદ મોહનનો જેલમાંથી છૂટકારો થયો હતો. મુખ્યમંત્રી નીતીશકુમારે જેલ મેન્યુઅલમાં થોડાક ફેરફારો કર્યા હતા, એના કારણે જ આનંદ મોહનનો છૂટકારો શક્ય બન્યો હતો. આનંદ મોહને ગઇ ચૂંટણીમાં પણ પત્ની લવલી માટે ટિકિટ મેનેજ કરી હતી. 2019માં લવલી આનંદ આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે એ વખતે લવલી આનંદે હાર સહન કરવી પડી હતી. આ વખતે ચૂંટણી પહેલા જ લવલી આનંદે આરજેડી છોડી દીધી અને જનતાદળ યુનાઇટેડમાં આવી ગઇ. નીતીશકુમારે શિવહર બેઠકની ટિકિટ પણ આપી દીધી. આનંદ મોહન આઝાદી પછીના એવા પહેલા નેતા હતા જેને મૃત્યુ દંડની સજા ફરમાવવામાં આવી હોય! લવલી આનંદ અગાઉ પણ સંસદ સભ્ય અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે નસીબ તેને કેવો સાથ આપે છે એ જોવાનું રહેશે.

લવલી આનંદ જેવું જ એક બીજું નામ બીમા ભારતીનું છે. બીમા ભારતી આરજેડીની ટિકિટ પર પૂર્ણિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બીમા કુખ્યાત ગુનેગાર અવધેશ મંડલની પત્ની છે. અવધેશ સામે હત્યા અને અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. અવધેશની પત્ની બીમા ભારતી પહેલી વખત ચૂંટણી નથી લડતી, આ પહેલા બીમા પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂકી છે. તે જનતાદળ યુનાઇટેડની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી. હજુ થોડા દિવસ પહેલા જ બીમા ભારતી જેડીયુને ટાટા બાયબાય કરીને આરજેડીમાં આવી ગઇ હતી. આરજેડીએ તેને આવતા વેંત જ લોકસભાની ટિકિટ આપી દીધી છે. બિહારની સિવાન બેઠક પર જનતા દળ યુનાઇટેડે વિજયલક્ષ્મી દેવીને ટિકિટ આપી છે. વિજયલક્ષ્મી બિહારના બાહુબલિ રમેશસિંહ કુશવાહાની પત્ની છે. રમેશસિંહ કુશવાહા શિવજી દૂબે હત્યાકાંડના મુખ્ય આરોપી છે. આ મહાશય જેલ પણ જઇ આવ્યા છે. મજાની વાત એ છે કે, ખુદ રમેશસિંહ પણ ભૂતપૂર્વ ધારાસભ્ય છે. સિવાનની બેઠકના વર્તમાન સંસદ સભ્ય કવિતા સિંહ છે. કવિતા પણ બાહુબલિ અજયસિંહની પત્ની છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે આ વખતે એક બાહુબલિની પત્નીની ટિકિટ કાપીની બીજા બાહુબલિની પત્નીને ટિકિટ આપી છે!

અનીતા કુમારી આરજેડીની ટિકિટ પર મુંગેર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ અનીતા પણ નવાદાના માફિયા અશોક મહતોની પત્ની છે. આ અશોક પણ મોટી માયા છે. હજુ ગયા વર્ષે જ તે 17 વર્ષ જેલની સજા પૂરી કરીને બહાર નીકળ્યો છે. નવાદાની જેલ તોડવાના કેસમાં તેને સજા પડી હતી. આરજેડી અશોક મહતોને ટિકિટ આપી શકે એમ નહોતી એટલે તેણે કહ્યું કે, તમને નહીં પણ પત્નીને ટિકિટ આપીએ. અશોક મહતો માટે સવાલ એ હતો કે, પત્ની તો હોવી જોઇએને? પત્નીને ટિકિટ મળે એ માટે 62 વર્ષના અશોક મહતોએ પોતાનાથી 16 વર્ષ નાની અનીતા કુમારી સાથે તાબડતોબ મેરેજ કર્યા! બિહારના રાજકારણમાં કેવું ચાલે છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. અશોક મહતો બાકાયદા પોતાની ગેંગ ચલાવે છે. નવાદાની જેલ તોડતી વખતે તેણે એક પોલીસમેનની હત્યા પણ કરી નાખી હતી. અશોક મહતો એ જ વ્યક્તિ છે જેના પરથી ખાખી : ધ બિહાર ચેપ્ટર નામની વેબસીરિઝ બની છે. અશોક મહતોની પત્ની અનીતા કુમારી રેલવેમાં નોકરી કરતી હતી. ચૂંટણી લડવા માટે તેણે રેલવેની નોકરીમાંથી પણ રાજીનામું આપ્યું છે. અનીતા કુમારી સામે જનતા દળ યુનાઇટેડની ટિકિટ પર નીતીશ કુમારના નજીકના લલનસિંહ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ જ ગઇ ચૂંટણીમાં આ બેઠક પરથી ચૂંટાયા હતા.

બિહારના રાજકારણનો ઇતિહાસ તપાસીએ તો બિહારે જયપ્રકાશ નારાયણ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, કર્પુરી ઠાકુર સહિત અનેક મહાન નેતાઓ આપ્યા છે. ધીમે ધીમે બિહારનું રાજકારણ બદલતું ગયું. રાજકારણીઓ જીતવા માટે પોતાના વિસ્તારના માથાભારે લોકોનો સાથ લેવા લાગ્યા અને માફિયાઓની મદદથી ચૂંટાવવા પણ લાગ્યા. ધીમે ધીમે બાહુબલિઓને જ એવું થવા લાગ્યું કે, આ બધા રાજકારણીઓ અમારા જોરે જ જીતે છે, એ બધાને જીતાડવાને બદલે અમે જ ચૂંટણીમાં ન ઝૂકાવીએ? રાજકીય પક્ષો પણ માફિયાઓને ટિકિટ આપવા લાગ્યા. માફિયાઓને પોલિટિશિયનોનું પીઠબળ મળવા લાગ્યું એના કારણે જ માફિયાઓ માથું ઊંચકવા લાગ્યા. માફિયા જેને સપોર્ટ કરતા હોય એની સરકાર હોય એટલે એ પોતાનું ધાર્યું કરતા હતા. છેલ્લા થોડા સમયથી ચૂંટણીના નિયમોમાં ફેરફારો થયા અને મતદારો પણ શાણા થયા એના કારણે રાજકીય પક્ષોએ માથાભારે નેતાઓને ટિકિટ આપવાનું બંધ કર્યું. જો કે, પ્રાદેશિક પક્ષો માફિયાઓને સાચવવા માટે તેમની પત્નીઓને ટિકિટ આપવા લાગ્યા. બિહાર હોય કે ઉત્તર પ્રદેશ ભાજપ ગુનાહિત રેકોર્ડ ધરાવનારને ટિકિટ આપવાથી દૂર રહ્યો છે. બિહારના રાજકારણને માફિયાઓથી મુક્તિ મળે એ જરૂરી છે. સરવાળે તો કોને જીતાડવા અને કોને હરાવવા એ મતદારોના હાથમાં છે. પરિણામો આવે ત્યારે ખબર પડશે તે મતદારો માફિયાઓની પત્નીને જીતાડે છે કે હરાવે છે! 

  • Follow us on: