ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોએ રાજ્યના અનેક દિગ્ગજો અને હાઈ-પ્રોફાઈલ ઉમેદવારોના રાજકીય ગણિતો ઊંધા પાડી દીધા છે. આ ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માત્ર નામ કે ભૂતકાળનો મોભો જીત અપાવવા માટે પૂરતો નથી. લોકગાયકોથી લઈને નિવૃત્ત અધિકારીઓ સુધીના અનેક ચહેરાઓને મતદારોએ નકારી કાઢ્યા છે.
દિગ્ગજોના ગઢ ધરાશાયી
સૌથી મોટો આંચકો જૂનાગઢમાં જોવા મળ્યો, જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. તો રાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર સૌથી વધુ ચર્ચામાં છે, શામળાજીમાં ભાજપની ટિકિટ પર લડનાર નિવૃત્ત IPS મનોજ નીનામા પણ 2700 મતોથી પછડાયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા અને પાયલ સાકરિયા પણ હાર્યા છે. જાણીતા લોકગાયક માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેરને પણ લાઠીમાં જનતાએ સ્વીકાર્યા નથી.













