વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે જેવી ઉમેદવારોની યાદી જાહેર કરી, કે તરત જ પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ પોતાના જ પક્ષના પૂર્વ નગરસેવકો સામે આકરા પ્રહારો કર્યા છે. લાખાવાલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં વડોદરાના વિકાસને બદલે વિનાશ થયો છે.

ભ્રષ્ટાચાર અને નગરસેવકો સામે રોષ

લાખાવાલાએ પૂર્વ નગરસેવકોની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વડોદરાની દુર્દશા માટે પૂર્વ કોર્પોરેટરો જવાબદાર છે. તેમણે મીડિયાની ભૂમિકાને બિરદાવતા નોંધ્યું કે, 'સંદેશ' જેવા અખબારોએ જ શહેરમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કર્યું હતું. પ્રજા અને પક્ષના પાયાના કાર્યકરો લાંબા સમયથી વેદના ભોગવી રહ્યા હતા, જેનો અવાજ આખરે સંગઠન સુધી પહોંચ્યો છે.

નવા ચહેરાઓથી વિકાસની આશા

ભાજપે આ વખતે મોટાભાગના જૂના ચહેરાઓને પડતા મૂકીને નવા ઉમેદવારોને તક આપી છે, તેને લાખાવાલાએ સ્વાભાવિક ગણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જે રીતે સંગઠને આકરો નિર્ણય લઈને નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, તેનાથી હવે કદાચ વડોદરા શહેરનો સાચો વિકાસ થશે. પક્ષના જ એક કદાવર નેતા દ્વારા કરવામાં આવેલી આ આકરી ટીકાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે કે શું વડોદરા ભાજપમાં અંદરખાને બધું બરાબર નથી?


આ પણ વાંચો----      Local Body Elections 2026 :ટિકિટ ન મળતા સાવલીના ભાજપ મહિલા મોરચાના મહામંત્રીનું રાજીનામું, કેમેરા સામે રડી પડ્યા વૈશાલી પુરોહિત