ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મતદાર યાદીમાં જોવા મળેલા કથિત છબરડાઓ અને ડુપ્લીકેટ નામો મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો ભાજપે જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલે આ મામલે નિવેદન આપતા કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી છે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ, કર્મચારીની ભૂલ હોઈ શકે
ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. જો યાદીમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે બાબતે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ કોઈ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય નથી, પરંતુ ચૂંટણી પંચના કર્મચારી કે કોમ્પ્યુટર ઓપરેટરની ટેકનિકલ ભૂલ હોવાની સંભાવના છે. એક જ ફોટો અને વારંવાર નામ હોવા છતાં, કોઈ પણ મતદાર માત્ર એક જ વાર મતદાન કરી શકે તેવી સિસ્ટમ અમલમાં છે.













