ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાણવડનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકર અને ચૂંટણી એજન્ટની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતના વિરોધમાં કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું છે. ભાણવડ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા યોજી પોલીસ અને સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ચૂંટણી એજન્ટની અટકાયતથી રોષ

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાણવડમાં કોંગ્રેસના સક્રિય કાર્યકર અને ચૂંટણી એજન્ટ તરીકે ફરજ બજાવતા કાના ચાવડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી સમયે વિપક્ષના સક્રિય કાર્યકરોને ડરાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા માટે જાણીજોઈને આ અટકાયત કરવામાં આવી છે.

"ભાજપના કાર્યકરો સામે કેમ કાર્યવાહી નહીં?" – કોંગ્રેસનો સવાલ

ધરણા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સાથે સંકળાયેલા અનેક કાર્યકરો સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવા છતાં પોલીસ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. પરંતુ માત્ર કોંગ્રેસના જ કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાર્યકરોએ કાના ચાવડાની તાત્કાલિક મુક્તિની માગ સાથે પોલીસ સ્ટેશન પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું.

ચૂંટણીના માહોલ વચ્ચે સર્જાયેલા આ રાજકીય ઘર્ષણને કારણે ભાણવડમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: "કોંગ્રેસ હારના ડરથી બહાના શોધે છે", મતદાર યાદીના વિવાદમાં ભાજપ પ્રવક્તા અનિલ પટેલનું મોટું નિવેદન!