રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024 બાદ ભારતીય T20 ટીમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના સિવાય વિરાટ કોહલીએ પણ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટી20 ફોર્મેટમાં ઘણા યુવા ખેલાડીઓ પર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2024 માં, અભિષેક શર્માને ઝિમ્બાબ્વે પ્રવાસ પર પ્રથમ વખત ભારતીય ટીમ માટે રમવાની તક મળી. જો કે, તેણે ખૂબ જ ઓછા સમયમાં વધુ છગ્ગા ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. સિક્સર મારવાના મામલે તે હવે નંબર 1 ભારતીય બેટ્સમેન છે.


રોહિત શર્માને છોડ્યો પાછળ

અભિષેક વર્ષ 2024માં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. અભિષેકે ભારત અને IPLમાં સંયુક્ત રીતે અત્યાર સુધીમાં 51 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિત શર્માએ આ વર્ષે 46 છગ્ગા ફટકાર્યા છે. ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે જેણે આ વર્ષે 45 સિક્સર ફટકારી છે. ચોથા સ્થાન પર શિવમ દુબે છે, જેણે 43 છગ્ગા ફટકાર્યા છે. IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેકે ઓપનિંગ બેટ્સમેન તરીકે સમગ્ર સિઝનમાં સિક્સર ફટકારી હતી. તેની આક્રમક બેટિંગના કારણે તેને આ વર્ષે જ ઝિમ્બાબ્વે સામે રમાયેલી 5 મેચની T20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ સિરીઝમાં સદીની ઇનિંગ પણ રમી હતી.


બાંગ્લાદેશ સામે ના કરી શક્યો કમાલ

ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 3 મેચની T-20 સિરીઝમાં અભિષેકને તક આપવામાં આવી છે. પરંતુ પ્રથમ મેચમાં તે ખાસ કરી શક્યો નહોતો. તે 7 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 રન બનાવીને રનઆઉટ થયો હતો. ભારત બીજી મેચમાં અભિષેક પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે. ભારત માટે અત્યાર સુધી રમાયેલી 6 T20 મેચોમાં ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને 28ની એવરેજથી 140 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 179.49ની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી છે.

  • Follow us on: