ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ ટીમ ઈન્ડિયા માટે વધુ એક નિરાશાજનક આંકડા દર્શાવે છે. 2023ના વર્લ્ડકપ ફાઈનલ પછી આ સતત 18મી ODI ટોસ હાર છે.
ભારતીય ટીમમાં 2 મોટા ફેરફારો
આ મેચ માટે ભારતીય ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીને બહાર રાખવામાં આવ્યા છે. પ્લેઈંગ ઈલેવનમાંથી નીતિશ રેડ્ડીને બહાર રાખવાનું કારણ પણ સામે આવ્યું છે. BCCIના જણાવ્યા મુજબ નીતિશ કુમાર રેડ્ડીને તેના ખરાબ ફોર્મને કારણે નહીં, પરંતુ ઈજાને કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
BCCIએ આપ્યું મોટું અપડેટ
સિડની વનડેમાં ટોસ થયાના થોડા સમય પછી BCCIએ એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે એડિલેડમાં બીજી વનડે દરમિયાન નીતિશ રેડ્ડીને લેફ્ટ ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી. પરિણામે તે વનડે માટે ઉપલબ્ધ ન હતો. BCCIની મેડિકલ ટીમ દ્વારા તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
નીતીશ કુમાર રેડ્ડીની ઈજા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી, કારણ કે ODI સિરીઝ પછી, ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે T20I સિરીઝમાં રમશે. આ સિરીઝ માટે નીતીશ કુમાર રેડ્ડીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું બાકી છે કે નીતીશ કુમાર રેડ્ડી ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે ફિટ છે કે નહીં. 5 મેચની T20I સિરીઝ 29 ઓક્ટોબરથી શરૂ થશે અને અંતિમ મેચ 8 નવેમ્બરના રોજ રમાશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિચેલ ઓવેન, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝેમ્પા, જોશ હેઝલવુડ.