ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં ગેરહાજર રહ્યા હતા. પરિણામે વાઈસ કેપ્ટન રિષભ પંતે જવાબદારી સંભાળી. રિષભ પંતે બીજી ઈનિંગ દરમિયાન પણ ટીમની કેપ્ટનશીપ કરી.
ઘરઆંગણે મળેલી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયા વિશે મહત્વપૂર્ણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વાઈસ કેપ્ટન રિષભ પંતે મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં હારના કારણો સમજાવ્યા. તેને તે ક્ષણનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે મેચ હાથમાંથી સરકી ગઈ.
રિષભ પંતે જણાવ્યું કે ટીમ ક્યાં કરી ભૂલ
મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં કોલકાતા ટેસ્ટમાં 30 રનથી મળેલી શરમજનક હારનું કારણ સમજાવતા વાઈસ કેપ્ટન રિષભ પંતે કહ્યું કે "આવી મેચ પછી તમે હાર પર વધુ ધ્યાન આપી શકતા નથી. આપણે ટાર્ગેટ હાંસલ કરી લેવું જોઈતું હતું. દરેક વિકેટ સાથે દબાણ વધતું ગયું. અમે સારી બોલિંગનો સંપૂર્ણ લાભ લઈ શક્યા નહીં. ટેમ્બા અને બોશે આજે સવારે સારી પાર્ટનરશીપ કરી. તેમની પાર્ટનરશીપથી અમને નુકસાન થયું. વિકેટ મદદ કરી રહી હતી.
આ પીચો પર 120 રન બનાવવા મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તેમ છતાં આપણે દબાણને સહન કરીને વિકેટનો લાભ ઉઠાવવા સક્ષમ હોવા જોઈએ. અમે સુધારા વિશે વિચાર્યું નથી, પરંતુ અમે ચોક્કસપણે મજબૂત રીતે પાછા આવીશું."
સાઉથ આફ્રિકા ત્રીજા દિવસની રમત જીતી ગયું
સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસની રમત 93/7 થી શરૂ કરી. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ બીજી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી, પરંતુ ટીમના બાકીના બેટ્સમેન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા.
ટીમ તરફથી બાવુમાએ સૌથી વધુ 55 રન બનાવ્યા, જ્યારે કોર્બિન બોશે 37 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું. ટીમ ઈન્ડિયાની બેટિંગની વાત કરીએ તો, વોશિંગ્ટન સુંદરે બીજી ઈનિંગમાં ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા. અંતે, અક્ષર પટેલે કેટલાક મોટા શોટ સાથે ટીમને વિજય તરફ દોરી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. તે આખરે 17 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા તરફથી સાઈમન હાર્મરે સૌથી વધુ વિકેટ લીધી. ત્રીજા દિવસની રમત સંપૂર્ણપણે સાઉથ આફ્રિકાનું પ્રભુત્વ ધરાવતી હતી.
આ મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા પહેલી ઈનિંગમાં 159 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 30 રનની લીડ મેળવી હતી. પરંતુ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને આખી ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ પ્રથમ ઈનિંગની લીડના આધારે ભારતને 124 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.