લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે IPL 2026માં અત્યાર સુધી 2 મેચ રમી છે, પરંતુ ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને હજુ સુધી તે 2 મેચમાં રમવાની તક મળી નથી. અર્જુન આ IPL સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે.
આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો, પરંતુ લખનૌએ તેને 30 લાખની કિંમતે સાઈન કર્યો છે. ભલે અર્જુનને આ સીઝનમાં રમવાની તક મળી નથી, પરંતુ તે પોતાને સાબિત કરવાનો બેસ્ટ પ્રયાસ કરી રહ્યો છે. તે નેટ્સમાં તેની શાર્પ બોલિંગથી સતત બધાને પ્રભાવિત કરી રહ્યો છે.
અર્જુન તેંડુલકર નેટમાં સતત સારી બોલિંગ કરી રહ્યો છે
26 વર્ષનો અર્જુન તેંડુલકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નેટમાં શાનદાર યોર્કર ફેંકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અર્જુન સતત બેટ્સમેનના પગ પાસે બોલ ફેંકતો જોવા મળી રહ્યો છે, અને તે જે તીવ્રતાથી સતત યોર્કર ફેંકે છે તેનાથી દરેક પ્રભાવિત થયા છે. ટોપ બેટ્સમેનોને પણ નેટમાં તેની બોલિંગ સામે સંઘર્ષ કરવો પડ્યો છે. તેને LSG કેપ્ટન રિષભ પંતને ઘણી વખત તેના યોર્કરથી મુશ્કેલીમાં મૂક્યો હતો.
અર્જુનને આગામી મેચમાં તક મળશે?
અર્જુનની બોલિંગ ચોકસાઈ જોયા પછી સોશિયલ મીડિયા પર ફેન્સ લખનૌ ફ્રેન્ચાઈઝીને તક ન આપવા બદલ સતત સવાલ કરી રહ્યા છે. ફેન્સ ફ્રેન્ચાઈઝીને પૂછી રહ્યા છે કે તેને અત્યાર સુધી બેન્ચ પર કેમ રાખવામાં આવ્યો છે.
ઘણા ફેન્સ માને છે કે અર્જુનને જલ્દી તક મળવી જોઈએ, કારણ કે તે નેટમાં શાનદાર ફોર્મ સાથે બોલિંગ કરી રહ્યો છે. હવે જોવાનું એ છે કે અર્જુનને 9 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં રમવાની તક મળે છે કે નહીં.
લખનૌએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેળવી રોમાંચક જીત
IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સના પ્રદર્શનની વાત કરીએ તો ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે. સીઝનની પહેલી મેચમાં લખનૌ દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી હારી ગયું હતું. બીજી મેચમાં રિષભ પંતની કેપ્ટનશીપમાં લખનૌએ સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું હતું. હવે લખનૌ કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં આ ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો