ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહેલા અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને પોતાના ઈન્ટરનેશનલ કરિયરને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. રાશિદ ખાન છેલ્લા કેટલાક સમયથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે ફક્ત મહત્વપૂર્ણ મર્યાદિત ઓવરની સિરીઝમાં જ ભાગ લઈ રહ્યો હતો.
આ વાતને ધ્યાનમાં રાખીને, રાશિદ ખાને હવે એક નિવેદન જાહેર કરીને હિન્ટ આપી છે કે તે IPL 2026ના અંત પછી જૂનમાં મુલ્લાનપુરમાં રમાનારી ભારત સામેની એક મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર રહી શકે છે.
ડોક્ટરે મને ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેવાની આપી સલાહ
IPL 2026ની મેચમાં ગુજરાત ટાઈટન્સની દિલ્હી કેપિટલ્સ સામે એક રનથી જીત બાદ રાશિદ ખાને પોતાની પીઠની ઈજા અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, "ઓપરેશન પછી હું હવે સંપૂર્ણપણે ફિટ છું, પરંતુ ડોક્ટરે મને કહ્યું કે જો હું ક્રિકેટ રમવા માગતો નથી, તો મારે ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું જોઈએ. મને ODI ક્રિકેટ ગમે છે, અને જો હું ટેસ્ટ ક્રિકેટથી દૂર રહું છું, તો હું લાંબા સમય સુધી અફઘાનિસ્તાન માટે રમી શકું છું."
આ દરમિયાન જ્યારે રાશિદને IPL પછી ભારતીય ટીમ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને જવાબ આપ્યો, "જો હું વર્ષમાં એક ટેસ્ટ રમી રહ્યો હોઉં, તો હું તે 2025માં રમી ચૂક્યો હોત. ડોક્ટરે શરૂઆતમાં મને ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ આ છતાં, મેં ઝિમ્બાબ્વે સામે એક ટેસ્ટ રમી, જેમાં 54 ઓવર બોલિંગ કરી અને 11 વિકેટ લીધી."
મારું સંપૂર્ણ ધ્યાન હવે 2027ના ODI વર્લ્ડકપ પર
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેવાના પોતાના નિર્ણય વિશે વધુમાં જણાવ્યું કે "જો હું ભારત સામે ટેસ્ટ મેચ રમીશ અને મને કમરની તકલીફ થશે તો હું શું કરીશ? જો હું વર્ષમાં એક ટેસ્ટ રમી રહ્યો છું, તો હું 100 ટેસ્ટ મેચ નહીં રમીશ. અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન 2027ના ODI વર્લ્ડકપની તૈયારી પર છે, અને હું મારી ફિટનેસ સાથે કોઈ જોખમ લેવા માગતો નથી."
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો