T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ મુખ્ય સિલેક્ટર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી.
વર્ષ 2024માં ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા બે વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા મુખ્ય ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે, જ્યારે કેટલાક ખેલાડીઓ 2026 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યા નથી.
T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયામાં કોને મળી તક?
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ફેબ્રુઆરીમાં શરૂ થનારા T20 વર્લ્ડકપમાં ભાગ લેશે. અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન ત્રણ ઓપનિંગ બેટ્સમેન છે. મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેનું પ્રભુત્વ રહેશે. સ્પિન બોલિંગ આક્રમણમાં ભારત પાસે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તીમાં ચાર મજબૂત વિકલ્પો છે. જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ ઝડપી બોલિંગની જવાબદારી સંભાળી રહ્યા છે.
T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર.
બે વર્ષમાં બદલાઈ ગઈ અડધી ટીમ
T20 વર્લ્ડકપ 2024ની સરખામણીમાં ભારતીય ટીમમાં અડધો ફેરફાર થયો છે. ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા સાત ખેલાડીઓ હવે 2026ના વર્લ્ડ કપમાં રમશે નહીં. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા મુખ્ય ખેલાડીઓ નિવૃત્તિ લીધા પછી આ ટીમમાં નથી. રિષભ પંત પણ T20 વર્લ્ડકપ 2024માં રમ્યો હતો પરંતુ હવે તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. યશસ્વી જયસ્વાલ સારું પ્રદર્શન કરવા છતાં ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ T20 વર્લ્ડકપ ટીમ 2024ની ટીમનો ભાગ હતા, પરંતુ તેઓ હવે T20 વર્લ્ડકપ 2026ની આ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.
આ પણ વાંચો: Mohammed Shami આ મોટી ટુર્નામેન્ટમાં રમશે, ટીમની કરવામાં આવી છે જાહેરાત