ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે પણ કેપ્ટનશીપમાં તેનો અંદાજ કંઈક અલગ છે. તે શાંત અને દબાણથી દૂર રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેમને ટીમ ઈન્ડિયાની જીત, તેની કેપ્ટનશીપની સ્ટાઈલ વિશે વાત કરી અને એક રસપ્રદ કિસ્સા દ્વારા તેને ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ સાથે સંબંધિત એક જૂની વાત શેર કરી.


સૂર્યકુમારની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધીમાં 52 મેચ રમી

ભારતની T20 ટીમની કમાન સંભાળનારા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધીમાં 52 મેચ રમી છે, જેમાંથી 42 મેચમાં જીત મેળવી છે. માત્ર 8 મેચમાં હાર થઈ છે અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. આ પ્રકારે ભારતની જીતની ટકાવારી 80 ટકા છે.

આ શાનદાર રેકોર્ડ પર પ્રતિક્રિયા આપતા સૂર્યકુમારે મજાકમાં પોતાના અભ્યાસને યાદ કર્યો અને કહ્યું કે સ્કુલ અને કોલેજમાં ભણવામાં જે રીતે ટકાવારી મેળવવામાં પ્રયત્ન કરતો હતો, તે હવે ક્રિકેટમાં જઈને મળી રહી છે. અભ્યાસમાં હું 50-60 ટકાથી આગળ ગયો નથી પણ ક્રિકેટમાં સારી ટકાવારી સાંભળીને સારૂં લાગે છે.

સૂર્યાએ એ પણ સ્પષ્ટતા કરી કે તે આંકડાઓ પર વધારે ધ્યાન આપતો નથી, પરંતુ તેને હંમેશા જીતનો આનંદ આવે છે. તેને કહ્યું કે "મને કોઈપણ રમતમાં હાર પસંદ નથી. જો આખી ટીમ ડ્રેસિંગ રૂમમાં એક જ માનસિકતા સાથે બેસે અને એક જ દિશામાં આગળ વધે તો જ આવી જીતની ટકાવારી પ્રાપ્ત કરી શકાય છે."

શ્રેયા ઘોષાલ સાથે શું છે ક્નેક્શન

ઈન્ટરવ્યુ દરમિયાન એક રસપ્રદ કિસ્સો પણ સામે આવ્યો. ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ એક સમયે સૂર્યકુમારની બાજુમાં રહેતી હતી. સૂર્યાએ ખુલાસો કર્યો કે શ્રેયા ઘોષાલનો નાનો ભાઈ સૌમ્યદીપ ઘોષાલ તેની સાથે સ્કૂલમાં ભણતો હતો. તેઓ સ્કૂલના સાથી હતા અને સાથે ઘણો સમય વિતાવતા હતા.

રોહિત પાસેથી શાંત કેપ્ટનશીપનો મંત્ર શીખ્યો

સૂર્યકુમાર ઘણીવાર કેચ ચૂકી જાય કે તક ગુમાવે ત્યારે પણ તેના ચહેરા પર સ્માઈલ રહે છે. સૂર્યાએ સમજાવ્યું કે તેને આ ટેકનિક ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પાસેથી શીખી હતી. સૂર્યાના મતે "હું રોહિત ભાઈની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છું. મેં જોયું કે તેમની પ્રતિક્રિયા હંમેશા એકસરખી રહેતી હતી, તેઓ ગુસ્સે થતા નહોતા. તેમને પણ તેમના કરિયરમાં આ તબક્કો અનુભવ્યો હતો."

સૂર્યકુમાર યાદવે ડર વિશે કહી આ વાત

સૂર્યકુમાર યાદવ માને છે કે કેપ્ટનનું કામ ખેલાડીઓમાં ડર જગાડવાનું નથી, પરંતુ તેમનામાં આત્મવિશ્વાસ જગાડવાનું છે. તેને કહ્યું કે "કોઈ પણ ખેલાડી જાણી જોઈને કેચ છોડતો નથી કે ખરાબ બોલ નાખતો નથી. દરેક વ્યક્તિ ટીમ માટે સારું કરવા માગે છે. જો કોઈ ભૂલ થાય છે, તો અમારી પાસે તેને સુધારવાની તક છે." તેના મતે, જો ટીમમાં ડરનું વાતાવરણ હશે, તો ખેલાડીઓ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી શકશે નહીં. તેથી તે હંમેશા ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક અને આરામદાયક વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: