ક્રિકેટ જગતના સૌથી મોટા હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ફરી એકવાર T20 વર્લ્ડ કપ 2026 માં જોવા મળી શકે છે.શ્રીલંકાના કોલંબોમાં રમાયેલી 27th લીગ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે 61 રનથી ભવ્ય વિજય મેળવીને કરોડો ભારતીય ચાહકોને જશ્ન મનાવવાની તક આપી હતી. હવે જ્યારે ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે, ત્યારે ખેલપ્રેમીઓના મનમાં એક જ સવાલ છે કે શું આ બંને કટ્ટર હરીફો ફરી મેદાનમાં આમને સામને આવશે? ટુર્નામેન્ટના વર્તમાન ફોર્મેટ અને બંને ટીમોના સુપર 8 ક્વોલિફિકેશનને જોતા, માર્ચ 2026 ના પ્રથમ સપ્તાહમાં આ 'મહાજંગ' ફરી રમવાના પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
સુપર 8 કેમ નહીં થાય ટક્કર?
લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન બાદ બંને ટીમોએ સુપર 8માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.જોકે, આ તબક્કાના ગ્રુપિંગને કારણે ચાહકોને થોડી નિરાશા થઈ શકે છે. સુપર 8 ની આઠ ટીમોને બે અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન અલગ જૂથમાં હોવાને કારણે આ તબક્કે તેમની વચ્ચે કોઈ મેચ રમાશે નહીં.લીગ સ્ટેજમાં એક જ જૂથમાં હોવાથી તેમની ટક્કર થઈ ચૂકી છે, પરંતુ હવે પછીનો રસ્તો સીધો નોક આઉટ સ્ટેજ તરફ જાય છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો થવાની સંભાવના ખૂબ જ વધારે છે.આ માટેનું સમીકરણ એકદમ સ્પષ્ટ છે: જો ભારત પોતાના સુપર 8 જૂથમાં પ્રથમ સ્થાને રહે અને પાકિસ્તાન તેના જૂથમાં બીજા સ્થાને રહે, તો આ બંને ટીમો સેમીફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ક્રિકેટના વિવેચકોના મતે, બંને ટીમોના ફોર્મને જોતા આ સમીકરણ સેટ થવું મુશ્કેલ નથી.જો આમ થશે, તો મુંબઈ અથવા અન્ય નિર્ધારિત સ્થળે ફરી એકવાર રોમાંચની પરાકાષ્ઠા જોવા મળશે.













