ઓસ્ટ્રેલિયા સામેની આગામી ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ T20 ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે રોહિત શર્માએ ODI કેપ્ટનશીપ ગુમાવી દીધી છે. શુભમન ગિલને ODI માં પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે રોહિતની કેપ્ટનશીપ ગુમાવવા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. કૈફ આ અંગે બિલકુલ ખુશ દેખાતા નથી.
રોહિતની કેપ્ટનશીપ વિશે જાણ્યા પછી મોહમ્મદ કૈફે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને આટલી જલ્દી ODI કેપ્ટન બનાવવામાં આવતા ઘણા ફેન્સ નિરાશ છે. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ BCCIના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, રોહિત શર્માએ ભારતને 16 વર્ષ આપ્યા, પરંતુ અમે તેમને એક પણ વર્ષ આપી શક્યા નહીં. કેપ્ટન તરીકે, રોહિતે પોતાની 16 ICC ટુર્નામેન્ટ મેચમાંથી 15 જીતી છે. તેણે જે હારનો સામનો કર્યો તે ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ તેની છેલ્લી મેચ હતી, જેમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને તે ટ્રોફી પણ જીતી હતી.













