- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે સેમિફાઈનલ મેચ
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 4 મેચ રમાઈ
- ભારત અને ઈંગ્લેન્ડે અનુક્રમે 2-2 જીત મેળવી છે
ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ રમવા માટે તૈયાર છે. આ બંને ટીમો 27 જૂને બીજી સેમિફાઇનલમાં સામસામે ટકરાશે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી 4 મેચ રમાઈ છે. જેમાંથી ભારત અને ઈંગ્લેન્ડે અનુક્રમે 2-2 જીત મેળવી છે.
જ્યારે પણ T20 વર્લ્ડકપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની વાત થાય છે, ત્યારે ચાહકો ચોક્કસપણે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને યાદ કરે છે. 2007 T20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ યુવરાજ સિંહે 6 બોલમાં ફટકારેલી 6 સિક્સર આજ સુધી કોઇ ભૂલી શક્યું નથી.
યુવરાજને 15 રાત સુધી ઊંઘ ન આવી
વર્ષ 2007માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 મેચની ODI સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં યુવરાજ સિંહ પણ ટીમનો ભાગ હતો. સિરીઝની છેલ્લી મેચમાં કેપ્ટન રાહુલ દ્રવિડે યુવરાજ સિંહને છેલ્લી ઈનિંગ બોલિંગ કરવા કહ્યું હતું. જે બાદ યુવરાજ છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો, ઓવરનો પહેલો બોલ ડોટ પર ગયો. આ પછી યુવરાજે આગામી 5 બોલમાં5 સિક્સર આપી હતી. જો કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી ગઈ હતી પરંતુ યુવરાજ મેચ બાદ ખૂબ જ ભાંગી પડ્યો હતો. યુવરાજ ન તો સૂઈ શકતો હતો કે ન તો કોઈની સાથે વાત કરી શકતો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન યુવરાજે આ વાતનો ખુલાસો કર્યો હતો.
યુવરાજે વર્લ્ડકપમાં લીધો બદલો
આ સીરિઝ બાદ T20 વર્લ્ડકપ 2007ની મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ સામસામે હતા. આ મેચમાં યુવરાજ સિંહની ખતરનાક સ્ટાઈલ જોવા મળી હતી. આ મેચ દરમિયાન યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના ખેલાડી એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે થોડીક નોકઝોક થઈ હતી, જે બાદ ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડ બોલિંગ કરવા આવ્યો હતો અને યુવરાજ તેની સામે હતો. પછી થયું એવું કે યુવરાજ સિંહે પોતાની બધી ભડાશ કાઢી અને બ્રોડના 6 બોલમાં 6 શાનદાર સિક્સર ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. યુવરાજ 6 બોલમાં 6 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.