ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 13 વર્ષના લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) તેની વાપસી માટે ખાસ યોજનાઓ બનાવી રહ્યું છે.


મીડિયા રિપોર્ટ મુજબ વિરાટ જેવો મહાન બેટ્સમેન રણજી રમવા પર 10 હજાર ફેન્સને મોટી ભેટ આપશે. વિરાટ 30 જાન્યુઆરીએ દિલ્હી તરફથી રેલવે ટીમ સામે રમશે. તમને જણાવી દઈએ કે વિરાટની આ મેચ દ્વારા 10 હજાર ફેન્સનો દિવસ કેવો રહેશે.

10 હજાર ફ્રીમાં જોઈ શકશે મેચ

રણજી ટ્રોફીના બીજા તબક્કાની મેચ 30 જાન્યુઆરીએ દિલ્હી અને રેલવે વચ્ચે રમાશે. વિરાટ તેની હોમ ટીમ દિલ્હી તરફથી રણજી રમવા જઈ રહ્યો છે. તેને પોતાની છેલ્લી રણજી મેચ 2012 માં રમી હતી. હવે 13 વર્ષ પછી, કોહલી રણજી રમવા જઈ રહ્યો છે. DDCA વિરાટના ઘરેલુ ક્રિકેટમાં વાપસી માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે.

ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીએ માહિતી આપી હતી કે અરુણ જેટલી સ્ટેડિયમ રણજીમાં વિરાટ કોહલીની બેટિંગનો આનંદ માણવા માટે 10,000 દર્શકોનું આયોજન કરશે. 10 હજાર ફેન્સ વિરાટની બેટિંગ ફ્રીમાં લાઈવ જોઈ શકશે.

કોહલીની સુરક્ષાનું પણ રાખવામાં આવશે ધ્યાન

વિરાટ કોહલી જેવા વિશ્વ કક્ષાના બેટ્સમેન 13 વર્ષ પછી ઘરેલુ ક્રિકેટમાં મેચ રમી રહ્યા છે, તે પોલીસ અને ડીડીસીએ માટે તેની સુરક્ષાના દૃષ્ટિકોણથી એક મોટો પડકાર છે. કોહલીની સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રોહન જેટલીએ જણાવ્યું હતું કે નોર્થ એન્ડ અને ઓલ્ડ ક્લબ હાઉસમાં ફેન્સ માટે પ્રવેશ રહેશે. જો જરૂર પડશે તો, બાકીના સ્ટેન્ડના ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ફેન્સ માટે વ્યવસ્થા કરવામાં આવશે.

છેલ્લી રણજી મેચમાં કોહલીનું પ્રદર્શન

જ્યારે વિરાટે 2012 માં તેની છેલ્લી રણજી મેચ રમી હતી, ત્યારે તે બંને ઈનિંગ્સમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. પહેલી ઈનિંગમાં તેને 19 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં તેના બેટમાંથી 43 રન આવ્યા. હવે જોવાનું એ રહે છે કે 13 વર્ષ પછી રણજીમાં પાછા ફર્યા પછી વિરાટ શું કમાલ કરશે. વિરાટનું રણજીમાં કમબેક 23 જાન્યુઆરીએ શરૂ થયેલી દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચથી થઈ શક્યું હોત, પરંતુ તે પહેલાં તેને ગરદનમાં ઈજા થઈ હતી.


  • Follow us on: