- ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કર્યો
- યુવા બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપી
- કેપ્ટન બન્યા બાદ ગાયકવાડની પહેલી પ્રતિક્રિયા વાયરલ થઈ
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 શરૂ થવાના થોડા કલાકો પહેલા કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે અનુભવી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ યુવા ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપી છે. ઘણા લોકો આને ધોનીનું મોટું પગલું ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ધોનીની છેલ્લી IPL હોવાનો સંકેત છે. હવે કેપ્ટન બન્યા બાદ રૂતુરાજ ગાયકવાડની ધોની પર પહેલી પ્રતિક્રિયા વાયરલ થઈ છે.
ધોની વિશે કહી આ વાત
સુકાનીપદ મળ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં ગાયકવાડે પોતાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે વાત કરી હતી. એક તરફ ગાયકવાડે કહ્યું કે સુકાનીપદ એક મોટી જવાબદારી હશે, તો બીજી તરફ તેણે કહ્યું કે તેને વધારે કરવાની જરૂર નથી.
CSKએ શેર કર્યો વીડિયો
ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં રૂતુરાજ ગાયકવાડે કેપ્ટન બનવા પર પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં સૌથી પહેલા તેને પૂછવામાં આવ્યું છે કે ચેન્નાઈના કેપ્ટન બનીને કેવું લાગે છે?
જવાબ આપતા, ગાયકવાડ કહે છે, "સારું લાગે છે. તે દેખીતી રીતે એક વિશેષાધિકાર છે. મને તેના કરતાં વધુ લાગે છે. આ એક મોટી જવાબદારી છે, પરંતુ અમારી પાસે જે પ્રકારની ટીમ છે તેના કારણે હું ખૂબ જ ઉત્સાહિત છું. દરેક પાસે પૂરતો અનુભવ છે, તેથી મારી પાસે કરવા જેવી ઘણી બાબતો નથી. ઉપરાંત, મારી સાથે ટીમમાં માહી ભાઈ (MS ધોની) છે, જડ્ડુ ભાઈ (રવીન્દ્ર જાડેજા) છે, અજ્જુ ભાઈ (અજિંક્ય રહાણે) છે. મને માર્ગદર્શન આપવા માટે આ બધા છે એટલે મારે વધારે વિચારવાની જરૂર નથી."
ધોનીની કપ્તાનીમાં ગત સિઝનમાં ચેમ્પિયન બન્યુ હતુ ચેન્નાઈ
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝન એટલે કે IPL 2023માં ટાઈટલ જીત્યું હતું. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ પાંચ વખત ચેમ્પિયન બની છે. પરંતુ હવે ધોનીએ આ જવાબદારીને આગળ વધારતા ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી છે.