- મુંબઈ ઈન્ડિયન્સે બેંગલુરુ સામે એકતરફી મેચ જીતી
- કપ્તાન હાર્દિક પંડ્યાએ જીતનો શ્રેય ટીમને આપ્યો
- મેચ બાદ હાર્દિક પંડ્યાને આવી GTની યાદ
IPL 2024માં પ્લેઓફ રમવા માટે તમામ ટીમો વચ્ચે સ્પર્ધા છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે ટૂર્નામેન્ટની શરૂઆત સારી રહી ન હોવા છતાં મુંબઈ પલટને છેલ્લી બે મેચમાં જે રીતે વાપસી કરી છે તેનાથી અન્ય ટીમોનું ટેન્શન વધી ગયું છે. જ્યારે મુંબઈ પહેલી 3 મેચ હારી ગયું ત્યારે બધાને લાગ્યું કે હવે MI કંઈ કરી શકશે નહીં. પરંતુ મુંબઈએ સતત 2 મેચ જીતીને બધાને ચોંકાવી દીધા છે. IPL 2024ની 25મી મેચમાં પણ મુંબઈએ RCBને હરાવ્યું છે. મુંબઈની આ જીત બાદ કેપ્ટનને જૂની ટીમ યાદ આવી ગઈ. તેણે મેચ બાદ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પંડ્યાને તેની જૂની ટીમ કેમ યાદ આવી?
જ્યારે હાર્દિક પંડ્યા મેચ જીત્યા બાદ તમામ ખેલાડીઓના પ્રદર્શન વિશે વાત કરી રહ્યો હતો ત્યારે તેને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો જેણે પંડ્યાને તેની જૂની ટીમની કેપ્ટનશિપની યાદ અપાવી હતી. RCB સામેની આ શાનદાર જીતનો શ્રેય હાર્દિક પંડ્યા પોતાની ટીમને આપી રહ્યો હતો. આ દરમિયાન પહેલા તેણે રોહિત શર્મા અને ઈશાન કિશનના ખૂબ વખાણ કર્યા. આ પછી તેણે સૂર્યકુમાર યાદવ વિશે કહ્યું કે હવે તે ખરેખર પાછો ફર્યો છે. ટીમમાં સૂર્યા હોવાને કારણે ઘણી તાકાત મળે છે. તે જે પ્રકારના શોટ્સ રમે છે તેમાં કોઈ બ્રેક નથી. આ દરમિયાન હાર્દિકે કહ્યું કે જ્યારે હું ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો ત્યારે મારા માટે સૂર્યા સામે ફિલ્ડિંગ કરવું ખૂબ મુશ્કેલ હતું. તે એવા શોટ્સ રમે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
સૂર્યકુમારની તોફાની બેટિંગ
હાર્દિક પંડ્યાએ કહ્યું કે જ્યારે પણ ટીમને જરૂર પડે છે ત્યારે સૂર્યા ટીમ માટે રન બનાવે છે. સૂર્યાએ બેંગલુરુ સામે માત્ર 19 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 5 ફોર અને 4 સિકસ લાગ્યા હતા. તેણે 273ના સ્ટ્રાઈક રેટથી ફિફ્ટી ફટકારી અને RCBને ક્યારેય મેચમાં વાપસી કરવાની તક આપી નહીં અને મેચ એકતરફી જીતી લીધી હતી. સૂર્યકુમાર ઈજાના કારણે પ્રથમ 3 મેચ રમી શક્યો ન હતો. ચોથી મેચમાં તેણે વાપસી કરી, પરંતુ આ મેચમાં તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં. પરંતુ જ્યારે તે RCB માટે રમવા આવ્યો ત્યારે તેણે આવતાની સાથે જ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો. સૂર્યાના આગમનથી મુંબઈનો બેટિંગ ઓર્ડર ઘણો મજબૂત બન્યો છે.