- IPL 2024 હાર્દિક પંડ્યા માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી
- હાર્દિક પંડ્યાએ IPL 2024માંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો
- આગામી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમશે મુંબઇ ઇન્ડિયન્સ
IPL 2024 હાર્દિક પંડ્યા માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. એક તરફ ચાહકો તેનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ટીમની હાર તેની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યાએ IPL 2024માંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. મુંબઈએ છેલ્લી મેચ હૈદરાબાદમાં રમી હતી અને હવે પછીની મેચ મુંબઈના વાનખેડેમાં રમશે. હાર્દિકે આ બે મેચ વચ્ચેનો વિરામ તેના પરિવાર સાથે વિતાવવાનો નિર્ણય કર્યો છે.
રોહિતના ફેન્સ હાર્દિકથી નારાજ
જ્યારથી હાર્દિક મુંબઈનો કેપ્ટન બન્યો છે ત્યારથી તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિકે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માની જગ્યા લીધી છે. રોહિત શર્મા એવો કેપ્ટન હતો જેણે મુંબઈ માટે પાંચ ટ્રોફી જીતી હતી. આવી સ્થિતિમાં રોહિતના ફેન્સ હાર્દિક પંડ્યાને સતત નફરત કરતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે હાર્દિક પંડ્યા તેના પરિવાર પાસે પહોંચી ગયો છે.
હૈદરાબાદ સામે મુંબઇની હાર
મુંબઈ ઈન્ડિયન્સે તેની છેલ્લી મેચ બુધવારે (27 માર્ચ) સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમી હતી. મુંબઈની ટીમ, જેણે 5 ટાઇટલ જીત્યા છે, તે IPL 2024 માં તેની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં, 1 એપ્રિલ, સોમવારે રમશે. મુંબઈની ટીમ 14 એપ્રિલ સુધી ઘરઆંગણે સતત 4 મેચ રમશે.
પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે હાર્દિક
એક અહેવાલ મુજબ હૈદરાબાદ સામેની મેચ બાદ જેવો જ હાર્દિક પંડ્યા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ તે પોતાના મુંબઈના ઘરે ગયો. હાર્દિક આરામ કરવા અને ફરીથી તૈયાર થવા ઘરે પહોંચી ગયો છે. તેણે ટીમને બદલે પરિવાર સાથે સમય વિતાવવાનો નિર્ણય કર્યો.
સતત બે મેચ હારી ચૂક્યું છે મુંબઈ
તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં સતત બે મેચ હારી ગઈ છે. ટીમે ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે રમી હતી, જેમાં તેનો 6 રનથી પરાજય થયો હતો. આ પછી ટીમનો બીજો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે હતો, જેમાં મુંબઈનો 31 રને પરાજય થયો હતો.