ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20I સિરીઝ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ગ્વાલિયરમાં નવા બનેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરશે. એટલું જ નહીં, આ મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 14 વર્ષ બાદ ગ્વાલિયરમાં પરત ફરશે. આ શહેરમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2010માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરે ODIમાં બેવડી સદી ફટકારીને એક રેકોર્ડ બનાવ્યો હતો.
સૂર્યકુમાર યાદવ સંભાળશે કમાન
T20I સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે. આ સિરીઝમાં હાર્દિક પંડ્યા પણ ઓલરાઉન્ડરની ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન હાર્દિક પંડ્યા પાસે ઈતિહાસ રચવાની તક હશે. આ સિરીઝમાં પંડ્યાની નજર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારના મોટા રેકોર્ડ્સ પર રહેશે.
હાર્દિક પંડ્યા 2 મહિનાથી વધુ સમય બાદ વાપસી કરવા જઈ રહ્યો છે. તેણે તેની છેલ્લી મેચ 28 જુલાઈના રોજ શ્રીલંકા પ્રવાસ પર પલ્લેકલેમાં રમી હતી. ત્યારથી તે બ્રેક પર હતો. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમી હતી પરંતુ તે ટીમનો ભાગ નહોતો. હવે તે T20I સિરીઝમાં એક્શનમાં જોવા મળશે.
હાર્દિક પાસે સુવર્ણ તક
જો હાર્દિક પંડ્યા આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો તે જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દેશે. હાર્દિકના નામે 102 T20I મેચોની 91 ઇનિંગ્સમાં 86 વિકેટ છે. જો તે 4 વિકેટ લે છે, તો તે જસપ્રીત બુમરાહની 89 T20 વિકેટના આંકડાને પાર કરી જશે. જસપ્રીત બુમરાહ બાંગ્લાદેશ સામેની T20I સિરીઝમાં રમી રહ્યો નથી. આવી સ્થિતિમાં ભારતીય ઓલરાઉન્ડર પાસે આગળ વધવાની મોટી તક છે.
અર્શદીપ સિંહ પણ રેસમાં
આ સિરીઝમાં હાર્દિક 5 વિકેટ લેતાની સાથે જ ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દેશે. ભુવીના નામે 87 T20I મેચોમાં 89 વિકેટ છે. બુમરાહ અને ભુવી બંનેને પાછળ છોડવા માટે હાર્દિકને અનુક્રમે 4 અને 5 વિકેટની જરૂર છે. માત્ર હાર્દિક જ નહીં, અર્શદીપ પાસે પણ ભુવી અને બુમરાહને પાછળ છોડવાની તક મળશે. જો કે તેના માટે અર્શદીપે હાર્દિક કરતાં વધુ વિકેટ લેવી પડશે. અર્શદીપના નામે હાલમાં 83 T20 વિકેટ છે.
T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો
- યુઝવેન્દ્ર ચહલ- 96
- ભુવનેશ્વર કુમાર- 90
- જસપ્રીત બુમરાહ- 89
- હાર્દિક પંડ્યા- 86
- અર્શદીપ સિંહ- 83