- બીમારી કે અન્ય કારણે રિટાયર થાય તો ફરી ઈનિંગ શરૂ કરી શકે
- યશસ્વીની ફિટનેસ પર તેની ફરીવારની બેટિંગનો લેવાશે નિર્ણય
- રાજકોટની મેચમાં પીઠના દર્દથી પરેશાન જોવા મળ્યા હતા યશસ્વી
યશસ્વી જયસ્વાલ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં 'રિટાયર્ડ હર્ટ' થયા હતા. મેચની ત્રીજી અને ભારતની બીજી ઈનિંગના સમયે શતક પૂરું કર્યા બાદ જયસ્વાલને પીઠમાં થોડી તકલીફ જોવા મળી. આ પછી તેઓએ 'રિટાયર્ડ હર્ટ' લેવાનો નિર્ણય લીધો. હવે સવાલ એ છે કે શું ભારતીય ઓપનર ફરીથી બેટિંગ કરી શકશે કે નહીં. તો જાણો 'રિટાયર્ડ હર્ટ' પર શું કહે છે આઈસીસીનો નિયમ.
મેચના ત્રીજા દિવસે બની ઘટના
નિયમો જાણતા પહેલા તમને જણાવી દઈએ કે જયસ્વાલ મેચના ત્રીજા દિવસે 'રિટાયર્ડ હર્ટ' થયો હતો. ભારતની બીજી ઇનિંગમાં ઓપનિંગ કરવા આવેલા યશસ્વીએ 133 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. સદી પૂરી કર્યા પછી ભારતીય બેટ્સમેન પીઠના દુખાવાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો, જેના પછી ફિઝિયો મેદાનમાં આવ્યા અને તેની પાસેથી સારવાર લીધા પછી જયસ્વાલે ફરીથી બેટિંગ શરૂ કરી. પરંતુ તેને ફરીથી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને અંતે 42મી ઓવર પૂરી થયા બાદ તેણે નિવૃત્તિ લીધી.
શું તે ફરી બેટિંગ કરી શકશે?
જ્યાં સુધી યશસ્વીની બેટિંગમાં વાપસીની વાત છે તો તે મેચના ચોથા દિવસે બેટિંગમાં પરત ફરી શકે છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબના નિયમ 25.4.2 અનુસાર, જો કોઈ બેટ્સમેન ઈજા, બીમારી અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણોસર નિવૃત્તિ લે છે, તો તે ખેલાડી તે જ જગ્યાએથી તેની ઈનિંગ્સ ફરી શરૂ કરી શકે છે. હવે તે યશસ્વી જયસ્વાલની ફિટનેસ પર નિર્ભર કરશે કે તે ફરીથી બેટિંગ કરવા ઉતરશે કે નહીં.
ભારતે ત્રીજા દિવસે પોતાની પકડ મજબૂત કરી લીધી હતી
મેચના ત્રીજા દિવસના અંત સુધીમાં બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 196/2 સુધી પહોંચી ગયો હતો. દિવસના અંત સુધીમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 322 રનની લીડ મેળવી લીધી હતી. શુભમન ગિલ (65) અને કુલદીપ યાદવ (03) નાઈટ વોચમેન તરીકે અણનમ પરત ફર્યા હતા.