- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝ
- ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 3-1થી સરસાઈ મેળવી
- સીરિઝની પાંચમી ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સીરિઝમાં 3-1થી આગળ છે. ટીમની નજર જીત સાથે સિરીઝનો અંત લાવવા પર રહેશે. ઈંગ્લેન્ડની બેઝબોલ રમતનો ભારતમાં ફિયાસ્કો થયો છે. કોચ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોક્સના તમામ પ્રયોગો ભારતમાં નિષ્ફળ ગયા હતા. આની પાછળ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલનો મોટો હાથ છે. તેણે સીરિઝમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે તેનું નિશાન પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો મોટો રેકોર્ડ છે.
યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં 2 બેવડી સદી ફટકારી છે. યશસ્વીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 209 રન બનાવ્યા હતા. આ પછી, તે રાજકોટમાં રમાયેલી બીજી મેચની બીજી ઇનિંગ્સમાં 214 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે સિરીઝમાં 655 રન બનાવ્યા છે. યશસ્વીની નજર 700 રનના આંકડાને સ્પર્શવા પર છે.
સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ નિશાના પર
યશસ્વીના ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં 655 રન છે. તે 700 રન પૂરા કરવાથી 45 રન દૂર છે. જો યશસ્વી ધર્મશાળા ટેસ્ટમાં 45 રન બનાવશે તો તે ઈતિહાસ રચશે. યશસ્વી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 700 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનશે. યશસ્વી પાસે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. તે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની શકે છે. સુનીલ ગાવસ્કર આ મામલે પ્રથમ સ્થાને છે. ગાવસ્કરે 1970-71માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ સિદ્ધિ મેળવી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામેની સીરિઝમાં 774 રન બનાવ્યા હતા. જો યશસ્વી 120 રન બનાવશે તો તે ગાવસ્કરને પાછળ છોડી દેશે.
સિક્સર ફટકારવાનો રેકોર્ડ
યશસ્વીએ આ સિરીઝમાં 23 સિક્સર ફટકારી છે. જો તે ધર્મશાળા ટેસ્ટમાં વધુ 3 સિક્સર ફટકારે તો તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સર મારનાર બીજો બેટ્સમેન બની જશે. આ મામલે ન્યુઝીલેન્ડના ટિમ સાઉથી અને વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સ યશસ્વી કરતા આગળ છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સાઉથીએ 25 અને રિચર્ડસે 34 સિકસ ફટકારી છે.
યશસ્વીની ટેસ્ટ કારકિર્દી
યશસ્વીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 8 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 69.36ની એવરેજથી 971 રન બનાવ્યા છે. યશસ્વીના નામે ત્રણ સદી અને ત્રણ અડધી સદી છે. ત્રણ સદીઓમાંથી તેણે બેને બેવડી સદીમાં બદલી છે. જો યશસ્વી ધર્મશાલામાં 29 રન બનાવશે તો તે તેની ટેસ્ટ કારકિર્દીમાં 1000 રન પૂરા કરશે.