ટીમ ઈન્ડિયાને ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે 25 રને પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે શ્રેણી 3-0થી ગુમાવી દીધી હતી. હાર બાદ કેપ્ટન રોહિત શર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે.


ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. આ હારને કારણે ટીમ ઈન્ડિયાને WTC પોઈન્ટ ટેબલમાં પણ ઘણું નુકસાન થયું છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગે ઘણી નિરાશ કરી છે.

ભારતીય બેટ્સમેનો ન્યુઝીલેન્ડના સ્પિન બોલરોનો સામનો કરી શક્યા ન હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્મા આ સમગ્ર શ્રેણીમાં ફ્લોપ સાબિત થયો હતો. આ હાર બાદ હવે રોહિત શર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં રોહિતે કહ્યું છે કે શા માટે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો?

રોહિતે હારનું કારણ જણાવ્યું

હાર બાદ બોલતા રોહિતે કહ્યું, હા અલબત્ત, તમે જાણો છો કે શ્રેણી હારવી, ટેસ્ટ હારવી ક્યારેય આસાન હોતી નથી. આ એવી વસ્તુ છે જે સરળતાથી પચી શકાતી નથી. ફરીથી, અમે અમારું શ્રેષ્ઠ પર્ફોમન્સ નથી આપ્યું, અમે જાણીએ છીએ અને અમારે તે સ્વીકારવું પડશે. ન્યુઝીલેન્ડે અમારા કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું. અમે ઘણી ભૂલો કરી છે અને અમારે તે સ્વીકારવું પડશે. અમે બેંગલુરુ અને પુણેમાં પૂરતા રન બનાવ્યા ન હતા અને અમે રમતમાં ઘણા પાછળ રહી ગયા હતા. અહીં અમને 30 રનની લીડ મળી, અમને લાગ્યું કે અમે આગળ છીએ, લક્ષ્ય પણ હાંસલ કરી શકાય તેવું હતું, અમારે થોડો પ્રયત્ન કરવાનો હતો જે અમે કરવામાં નિષ્ફળ ગયા.

રોહિત તેના પ્રદર્શનથી નાખુશ છે

કેપ્ટન રોહિત શર્માએ વધુમાં કહ્યું કે, જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું ત્યારે મારા મનમાં કેટલાક ખાસ વિચારો અને કેટલીક યોજનાઓ હોય છે, પરંતુ આ સિરીઝમાં આવું ન થયું અને તે મારા માટે નિરાશાજનક છે. પંત, જયસ્વાલ અને ગિલે આ સપાટી પર બેટિંગ કેવી રીતે કરવી તે શીખવ્યું. જ્યારે આપણે આવી પીચ પર રમીએ ત્યારે તમારે થોડું આગળ રહેવું પડશે અને સક્રિય રહેવું પડશે. અમે છેલ્લા 3-4 વર્ષથી આવી પીચો પર રમી રહ્યા છીએ, અમને ખબર છે કે કેવી રીતે રમવું. પરંતુ આ સીરિઝમાં એવું નથી થયું, એવી કેટલીક બાબતો હતી જે થઈ નથી અને તેનાથી નુકસાન થશે.

'આ જ છે હારનું કારણ'

રોહિત કહે છે કે અંગત રીતે હું મારી શ્રેષ્ઠ બેટિંગ આપી શક્યો નથી અને એક કેપ્ટન તરીકે આ બાબત મને પરેશાન કરશે. પરંતુ અમે સામૂહિક રીતે સારું પ્રદર્શન કર્યું નથી અને તે જ આ પરાજયનું કારણ છે.

  • Follow us on: