ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચમાં ભારતને 113 રને હરાવ્યું છે. આ મેચ જીતીને કિવી ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો પણ આખરે તૂટી ગયો છે. 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તમામની નજર મુંબઈમાં યોજાનારી ટેસ્ટ મેચ પર છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મોટો નિર્ણય લીધો છે.


ગૌતમ ગંભીરે આપ્યો આ આદેશ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી મેચ 1 નવેમ્બરથી શરૂ થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને બે દિવસનો આરામ આપવામાં આવ્યો છે. મતલબ કે ખેલાડીઓ 27 અને 28 ઓક્ટોબરે આરામ કરશે. આ પછી તેઓ મેચની તૈયારી શરૂ કરશે. આ દરમિયાન ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ તમામ ખેલાડીઓને 30 અને 31 ઓક્ટોબરે બે દિવસ પ્રેક્ટિસ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બંને પ્રેક્ટિસ સેશન ફરજિયાત છે. મતલબ કે ટીમનો કોઈ ખેલાડી તેને છોડી શકે નહીં.

પહેલા ખેલાડીઓને છૂટ આપવામાં આવતી હતી

તમને જણાવી દઈએ કે પહેલા ખેલાડીઓ પાસે પ્રેક્ટિસ સેશન છોડવાનો વિકલ્પ હતો. જેથી ખેલાડીઓ મેચ પહેલા પોતાની જાતને ફ્રેશ રાખી શકે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને સિનિયર ખેલાડીઓ પ્રેક્ટિસ સેશન છોડી દેતા હતા અથવા મેચ પહેલા હળવી ટ્રેનિંગ કરતા હતા. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે ગૌતમ ગંભીરે ખેલાડીઓ માટે નવો આદેશ જારી કર્યો છે.

ટીમ ઈન્ડિયા માટે WTC ફાઈનલનો રસ્તો મુશ્કેલ બન્યો

પુણે ટેસ્ટ મેચમાં હાર બાદ પણ ટીમ ઈન્ડિયા WTCના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પરંતુ જો ભારતને WTC ફાઇનલમાં સ્થાન બનાવવું હોય તો તેને તેની બાકીની 6 મેચમાંથી 4 જીતવી પડશે. જેમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચ થવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર એક થઈને વાપસી કરવી પડશે. અન્યથા તેણે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

  • Follow us on: