ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટે પરાજય થયો હતો. હવે આ હાર બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ માટે અચાનક મોટો ફેરફાર કર્યો છે. BCCIએ સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને બીજી અને ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય
BCCIની જાહેરાત અનુસાર વોશિંગ્ટન સુંદરને બીજી અને ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. સુંદરના ટીમ ઈન્ડિયામાં સમાવેશની માહિતી બેંગલુરૂમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં હારના થોડા કલાકો બાદ જ સામે આવી છે. BCCIએ આ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી.
સુંદરે 2021માં રમી હતી છેલ્લી ટેસ્ટ
તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ માર્ચ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં રમી હતી. અત્યાર સુધી તે ભારત માટે ચાર ટેસ્ટ રમી ચૂક્યો છે. આ મેચોની 6 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 66.25ની એવરેજથી 265 રન બનાવ્યા છે, જેમાં તેણે 3 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં સુંદરનો ઉચ્ચ સ્કોર 96* રન છે. આ સિવાય તેણે 7 ઇનિંગ્સમાં બોલિંગ કરતા 49.83ની એવરેજથી 6 વિકેટ ઝડપી હતી.
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર
ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ કરવા ઉતરી અને 402 રનનો સ્કોર બોર્ડ પર લગાવ્યો. આ પછી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા અને ન્યુઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો. ટાર્ગેટનો પીછો કરતા કિવી ટીમે 110/2 રન બનાવીને 8 વિકેટે જીત મેળવી હતી.