દુલીપ ટ્રોફી 2024ના પ્રથમ રાઉન્ડની મેચમાં ઈન્ડિયા-Cએ શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની ઈન્ડિયા-Dને સરળતાથી 4 વિકેટથી હરાવ્યું હતું. અનંતપુરમાં રમાયેલી આ બનાના મેચમાં ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ઈન્ડિયા-Cએ મેચના ત્રીજા દિવસે 6 વિકેટ ગુમાવીને આપેલા 233 રનના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. ઈન્ડિયા-C માટે કેપ્ટન રુતુરાજ અને રજત પાટીદારે બીજી ઈનિંગમાં લક્ષ્યનો પીછો કરતી વખતે શાનદાર ઈનિંગ્સ રમી હતી, જ્યારે અભિષેક પોરેલે પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં પણ ઉપયોગી યોગદાન આપ્યું હતું અને ટીમને જીત તરફ દોરી હતી.
ત્રીજા દિવસે પરિણામ જાહેર
આંધ્રપ્રદેશના અનંતપુરમાં લગભગ 6 વર્ષ બાદ પ્રથમ વખત આયોજિત ફર્સ્ટ ક્લાસ મેચમાં માત્ર 3 દિવસમાં પરિણામ જાહેર થઈ ગયું હતું. અપેક્ષા મુજબ ફાસ્ટ બોલરોનો પ્રારંભમાં દબદબો રહ્યો હતો, પરંતુ સ્પિનરોએ પણ ત્રીજી અને ચોથી ઇનિંગ્સમાં પોતાની તાકાત બતાવી હતી. ઈન્ડિયા Cનો સ્પિનર માનવ સુથાર ગેમ ચેન્જર સાબિત થયો હતો. તેણે ઈન્ડિયા-Dની બીજી ઈનિંગમાં 7 વિકેટ ઝડપી હતી અને સમગ્ર ટીમને માત્ર 236 રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કેપ્ટનની શાનદાર ઈનિંગ્સ
ઈન્ડિયા-Cને પ્રથમ દાવમાં 4 રનની લીડ મળી હતી, તેથી છેલ્લી ઈનિંગમાં તેની પાસે માત્ર 233 રનનો લક્ષ્યાંક હતો. આ ટાર્ગેટ ત્રીજા અને ચોથા દિવસે પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે, પરંતુ તેના કેપ્ટન ઋતુરાજે આવતાની સાથે જ આક્રમક બેટિંગ કરીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેનું લક્ષ્ય ખાસ કરીને ઈન્ડિયા-Dનો ઝડપી બોલર હર્ષિત રાણા હતો, જેણે પ્રથમ દાવમાં 4 વિકેટ લઈને તબાહી મચાવી હતી. રૂતુરાજ અને સાંઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 11 ઓવરમાં 64 રન બનાવ્યા હતા.
ટીમને જીત તરફ દોરી
અહીં જ ઈન્ડિયા-Dના સ્પિનર સરંશ જૈને બંનેને આઉટ કરીને ટીમમાં વાપસી કરી હતી પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. રજત પાટીદાર અને આર્યન જુયાલે ત્રીજી વિકેટ માટે 88 રન જોડ્યા હતા. અહીં સરંશે 2 વિકેટ લઈને ટીમને આશાનું કિરણ આપ્યું હતું પરંતુ અભિષેક પોરેલે માનવ સાથે મળીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.