ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસનની તોફાની સ્ટાઈલ જોવા મળી હતી. સંજુએ ત્રીજી T20 મેચમાં બાંગ્લાદેશના બોલરોની ધોલાઈ કરી હતી. આટલું જ નહીં સંજુએ એક ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી. મેચ બાદ સંજુએ પાંચ સિક્સર મારવાનું રહસ્ય જાહેર કર્યું અને આખી પ્લાનિંગ જણાવ્યું હતું.
સંજુ ક્યારે 5 સિક્સર મારવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો?
બાંગ્લાદેશ સામેની સિરીઝની પ્રથમ બે મેચમાં સંજુ સેમસનનું બેટ શાંત રહ્યું હતું. બીજી મેચમાં વહેલા આઉટ થયા બાદ સંજુને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની વિસ્ફોટક ઇનિંગથી સંજુએ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. ત્રીજી મેચમાં સંજુએ રિશાદ હુસૈનની એક ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારી હતી. મેચ બાદ બોલતા સંજુએ કહ્યું કે તે છેલ્લા એક વર્ષથી એક ઓવરમાં પાંચ સિક્સર મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાંગ્લાદેશ વિરૂદ્ધ સફળ થયો હતો.
સંજુએ શાનદાર સદી ફટકારી હતી
ત્રીજી T20 મેચમાં સંજુ સેમસને તેની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ મેચમાં બેટિંગ કરતા તેણે માત્ર 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. જેમાં 11 ફોર અને 8 સિક્સરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંજુના નામે એક વિશેષ સિદ્ધિ પણ નોંધાઈ છે. સંજુ હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે.
ભારતે સિરીઝ 3-0થી જીતી લીધી હતી
ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને T20 સિરીઝમાં પણ હરાવ્યું છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે T20 સિરીઝ 3-0થી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચ 133 રને જીતી લીધી છે. સંજુ સેમસનને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેમેકર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો.