- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
- પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે સિરીઝ મહત્વપૂર્ણ
ભારતીય ટીમે હાલમાં જ અફઘાનિસ્તાન સાથે T20 સિરીઝ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 3-0થી જીત મેળવી હતી. હવે ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ઈંગ્લેન્ડની ટીમ હવે ભારતના પ્રવાસે જશે. આ સિરીઝની પ્રથમ મેચ 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ફરી એકવાર રોહિત શર્મા કેપ્ટનશિપ કરતો જોવા મળશે. રોહિત શર્મા આ સિરીઝમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
સેહવાગ અને ધોનીને પાછળ છોડી શકે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે આ સિરીઝ ખાસ બની રહી છે. રોહિત શર્મા આ સિરીઝમાં પોતાના નામે એક મોટો રેકોર્ડ નોંધાવી શકે છે. આ સિરીઝમાં રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની શકે છે. ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં સેહવાગના નામે 91 સિક્સર છે.
આ સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આ યાદીમાં બીજા સ્થાન પર આવે છે. એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં 78 સિક્સર ફટકારી છે. જો રોહિત શર્માની વાત કરીએ તો રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 77 સિક્સર ફટકારી છે. આવી સ્થિતિમાં જો રોહિત શર્મા ઈંગ્લેન્ડ સાથેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 14 સિક્સર ફટકારે છે તો રોહિત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની જશે.
WTC માટે આ સિરીઝ મહત્વપૂર્ણ
સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે, જેના માટે હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હૈદરાબાદ પહોંચવા લાગ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે આ 5 મેચની સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે. ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જો ટીમ આ સીરીઝ જીતશે તો તે નિશ્ચિતપણે પ્રથમ સ્થાને પહોંચી જશે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સાતમા સ્થાને છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ પણ આ સિરીઝ જીતવા માટે પૂરા પ્રયાસ કરશે.