આજે એટલે કે બુધવાર, 21 મે ના રોજ મુંબઈ IPL 2025 ની 63મી મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ઇન્ડિયન પ્રીમીયર લીગમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્લેઓફ માટે જંગ જામશે. વાનખેડે સ્ટેડિયમમાં જો વરસાદ વિઘ્ન ના બને અને વાતાવરણ અનૂકળ રહે તો સાંજે 7:30 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન (MI) હાર્દિક પંડ્યા અને (DC) અક્ષર પટેલ ટોસના અડધા કલાક પહેલા મેદાનમાં ઉતરશે. 


બેટસમેનોને મળી સફળતા

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 124 મેચ રમાઈ છે. આમાંથી 55 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ જીતી હતી, જ્યારે 68 મેચ આ મેદાન પર રનનો પીછો કરતી ટીમોએ જીતી હતી. આ આંકડાઓ જોતાં, સ્પષ્ટપણે કહી શકાય કે અહીં બીજી ઇનિંગમાં બેટિંગ કરવી નફાકારક સાબિત થાય છે. આ સ્ટેડિયમનો પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 170 છે, જ્યારે બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 160 છે. આમ છતાં, બીજી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમો જીતે છે. કહી શકાય કે વાનખેડે સ્ટેડિયમની પીચ પર બેટસમેનનો બલ્લો ચાલશે. જો આજે મેચ રમાય તો સંભવત ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ લઈ શકે છે.

વાનખેડેની પીચ પર ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ

બોલરોના દૃષ્ટિકોણથી, અહીં ઝડપી બોલરોનું વર્ચસ્વ જોઈ શકાય છે કારણ કે આ ખૂબ જ નાનું મેદાન છે. ઘણી દિશામાં તમને 60 મીટર કે તેથી ઓછી સીમાઓ મળે છે. આ જ કારણ છે કે અહીં સ્પિનરો ફાયદાકારક નથી, કારણ કે ઝાકળ પણ અહીં એક મોટું પરિબળ છે. આઈપીએલમાં અહીં 71.1 ટકા વિકેટ ઝડપી બોલરોએ લીધી છે અને 28.9 ટકા વિકેટ સ્પિનરોએ લીધી છે. IPLમાં ફાસ્ટ બોલરોએ 989 વિકેટ લીધી છે અને સ્પિનરોને 402 વિકેટ સાથે સંઘર્ષ કરવો પડ્યો છે.

MI vs DC મેચ પર વરસાદનો પડછાયો જોવા મળી રહ્યો છે. બેંગ્લુરુમાં 17મેના યોજાયેલ મેચની જેમ આજે મુંબઈમાં પણ વરસાદને કારણે MI vs DCની મેચ રદ થઈ શકે છે.  મેચ રદ થતા બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. પરંતુ બાબત રસપ્રદ રહેશે કે આખરે પ્લેઓફની રેસમાં બંનેમાંથી કઈ ટીમને ટિકિટ મળશે.

  • Follow us on: