ડાયમંડ લીગનો આગામી તબક્કો જે બધા ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ ઈવેન્ટ છે, તે લૌઝેનમાં યોજાઈ રહ્યો છે. લૌઝેન ડાયમંડ લીગ 2026માં ભારતીય ફેન્સનું ધ્યાન સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા પર રહેશે, જે 21 ઓગસ્ટની રાત્રે એક્શનમાં જોવા મળશે.
નીરજ ચોપરાએ તાજેતરમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શ્રીલંકાના રોમેશ પથિરાગે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ફરી એકવાર રોમેશનો સામનો કરશે.
નીરજ ચોપરા ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માગશે
ફાઈનલમાં સ્થાન મેળવવા માટે નીરજ ચોપરા માટે લૌઝેન ડાયમંડ લીગ સ્ટેજ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નીરજ ચોપરા હાલમાં 6 પોઈન્ટ સાથે 7મા નંબરે છે. રેન્કિંગમાં ટોપ 6 ખેલાડીઓ 4 અને 5 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં યોજાનારી ડાયમંડ લીગ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. શ્રીલંકાના એથ્લેટ રોમેશ પથિરાગે ડાયમંડ લીગ ફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી લીધું છે.
રોમેશ પથિરાગે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, 9 ઈવેન્ટમાં ભાગ લીધો છે અને તેમાંથી 8 ઈવેન્ટમાં જીત મેળવી છે. નીરજ ચોપરા પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરી રહ્યા છે જેના કારણે તે ઘણી મહત્વપૂર્ણ ઈવેન્ટ્સથી દૂર રહ્યો હતો.
પાકિસ્તાની અરશદ નદીમે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે
નીરજ ચોપરા અને રોમેશ પથિરાગે લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લેવા જઈ રહ્યા છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંકવાની ફાઈનલ ઈવેન્ટમાં 9મા નંબરે રહેનાર અરશદ નદીમે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સની તૈયારી માટે સાઉથ આફ્રિકામાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.
અરશદ નદીમ સિવાય જર્મનીનો યુરોપિયન ચેમ્પિયન જુલિયન વેબર પણ લૌઝેન ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યો નથી. પરંતુ આ હોવા છતાં નીરજ માટે પડકાર સરળ રહેશે નહીં કારણ કે તેને વર્તમાન વિશ્વ ચેમ્પિયન ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ અને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન