ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી દલીપ ટ્રોફી માટે સાઉથ ઝોનના સ્ક્વોડમાં કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સામેલ ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે, BCCI એ તમામ રાજ્ય સંઘોને સત્તાવાર રીતે પત્ર લખીને રાષ્ટ્રીય ટીમ માટે રમી ચૂકેલા ખેલાડીઓને પ્રાધાન્ય આપવા અને તેમને ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે દલીપ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાની સાખ અને ગુણવત્તા જાળવવા માટે ઉપલબ્ધ તમામ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થવો જરૂરી છે. BCCIના ક્રિકેટ ઓપરેશન્સના જનરલ મેનેજર અભય કુરુવિલાએ આ મામલે ઝોનલ કન્વીનર્સ અને સ્ટેટ યુનિટ્સને ઇમેઇલ મોકલ્યો છે.
જાણો ક્યારે થઇ વિવાદની શરૂઆત
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાઉથ ઝોને 27 જુલાઈએ દલીપ ટ્રોફી માટે પોતાના સ્ક્વોડની જાહેરાત કરી, જેમાં કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ સુદર્શન જેવા મોટા નામોને સામેલ કરવામાં આવ્યા નહોતા. આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થઈ રહી છે અને ઘરેલુ ક્રિકેટ સીઝનની શરૂઆતનું પ્રતીક છે. આ ખેલાડીઓની ઉપલબ્ધતા હોવા છતાં તેમને ટીમમાં ન સમાવવા બદલ BCCIએ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડ ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ઘરેલુ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે દબાણ કરી રહ્યું છે, જેથી ડોમેસ્ટિક ક્રિકેટનું સ્તર ઊંચું રહી શકે.
BCCI કડક કાર્યવાહી કરે તેવી શક્યતા
આ પહેલા પણ BCCI એ ખેલાડીઓને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને બદલે IPL ને પ્રાધાન્ય આપવા સામે ચેતવણી આપી હતી અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ આ વર્ષે ઘરેલુ કેલેન્ડર પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવાની શરત મૂકી હતી. જાન્યુઆરીમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ થયા બાદ બોર્ડે આ સખ્તાઈ દર્શાવી હતી. આ પગલાથી સ્પષ્ટ થાય છે કે BCCI ડોમેસ્ટિક ક્રિકેટની પ્રતિષ્ઠા અને મહત્વને જાળવી રાખવા માટે ગંભીર છે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરી શકે છે.