T20 વર્લ્ડ કપ 2026ને લઈને પાકિસ્તાનના વિવાદનો અંત હજુ આવ્યો નથી. ICCને પાકિસ્તાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું કે તે ભારત સામેની મેચ રમશે નહી. T20 વર્લ્ડ કપ 2026માંથી પાકિસ્તાન બહાર થશે કે તેને દંડ થશે, આ મામલે ICCએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. દરમિયાન એવા અહેવાલ સામે આવ્યા છે કે પાકિસ્તાન દંડથી બચવા અને પોતાના નિર્ણયને કાયદેસર બનાવવા ફોર્સ મેજયોર કલમની મદદ લઈ શકે છે. T20 વર્લ્ડ કપ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારત-પાકિસ્તાન વિવાદ વધુ એક વખત સપાટી પર આવ્યો છે.
જાણો શું છે 'ફોર્સ મેજ્યોર' કલમ
ફોર્સ મેજ્યોર કલમો સામાન્ય રીતે ત્યારે લાગુ પડે છે જ્યારે અમુક નિયમો અને શરતો પૂર્ણ કરવાથી ચોક્કસ જવાબદારીઓ અથવા કરારો પૂર્ણ કરવાનું અશક્ય બને છે. અહેવાલ અનુસાર T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ નહી રમવા મામલે PCB દલીલ કરી શકે છે કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને પાકિસ્તાન સરકારના સરકારી નિર્દેશોને કારણે બોર્ડ પાસે મેચ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જો PCB આ કલમની મદદ લે તો તેને નાણાંકીય દંડમાંથી રાહત મળી શકે છે. "ફોર્સ મેજ્યોર" કલમનો ઉલ્લેખ કરીને PCB સાબિત કરી શકે છે કે તેમણે લીધેલ નિર્ણય અસાધારણ અને અનિવાર્ય સંજોગોને કારણે લેવામાં આવ્યો હતો.













