• રિષભ પંતનો 2022ના અંતમાં અકસ્માત થયો હતો
  • રિષભ પંતે IPL 2024થી ક્રિકેટમાં વાપસી કરી
  • પંતનો T20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં સમાવેશ

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 2022ના અંતમાં અકસ્માત થયો હતો. આ પછી તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. આ સમયગાળા દરમિયાન પંત IPL 2023, ODI વર્લ્ડકપ 2023, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને એશિયા કપ 2023 રમી શક્યો ન હતો. આ પછી પંતે IPL 2024 પહેલા જોરદાર વાપસી કરી હતી. તેના પ્રદર્શના આધારે વિકેટકીપર બેટ્સમેનને T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

જીવન બદલવાનો અનુભવ

પંતે શિખર ધવનના શો ધવન કરેંગેમાં કહ્યું, “ઈજામાંથી સાજા થતા સમયે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારી આસપાસના લોકો જુદી જુદી વાતો કહે છે અને એક વ્યક્તિ તરીકે તમારે તમારા માટે શું સારું છે તે વિશે વિચારવું પડશે. આ અકસ્માત મારા માટે જીવન બદલી નાખનાર અનુભવ હતો. તે પછી જ્યારે હું જાગી ગયો, ત્યારે મને ખાતરી નહોતી કે હું બચીશ કે નહીં, પરંતુ ભગવાન મને બચાવવા માટે પૂરતા દયાળુ હતા."

2 મહિનાથી બ્રશ કર્યું નથી

પંતે કહ્યું, “હું અકસ્માત બાદ બે મહિના બ્રશ પણ કરી શક્યો ન હતો અને છથી સાત મહિના સુધી અસહ્ય પીડાનો સામનો કરવો પડ્યો હતો. હું એરપોર્ટ પર જઈ શક્યો નહીં કારણ કે મને વ્હીલચેરમાં લોકોનો સામનો કરવાનો ડર હતો. હવે જ્યારે હું ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છું, અત્યારે હું દબાણ અનુભવવા કરતાં વધુ ઉત્સાહિત છું. મને લાગે છે કે તે એક રીતે બીજું જીવન મળ્યું છે, તેથી હું ઉત્સાહિત છું, સાથે નર્વસ પણ છું.”

IPL 2024માં રિષભ પંતનું પ્રદર્શન

IPL 2024માં રિષભ પંતનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 13 મેચની 13 ઇનિંગ્સમાં 40.54ની એવરેજ અને 155.40ની સ્ટ્રાઇક રેટથી 446 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી ફટકારી હતી. 17મી સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 88 રન હતો. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર 12મો ખેલાડી હતો.

  • Follow us on: