રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 280 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. બીજી મેચ ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુરમાં રમાશે. જો કે આ મેચમાં રોહિત શર્મા પોતાના જ કોચ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે.
રોહિત શર્મા તોડશે ગંભીરનો રેકોર્ડ!
બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ મેચમાં રોહિત શર્માનું બેટ પ્રદર્શન કરી શક્યું ન હતું. તે બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. તેણે બંને ઇનિંગ્સમાં 11 રન બનાવ્યા હતા. જોકે, બીજી ટેસ્ટ મેચમાં હિટમેન પોતાના કોચનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરશે. વાસ્તવમાં, ગૌતમ ગંભીરે પોતાના ટેસ્ટ કરિયરમાં 58 મેચની 104 ઇનિંગ્સમાં 4154 રન બનાવ્યા છે, જેમાં 9 સદી ઉપરાંત 22 ફિફ્ટી પણ નોંધાવી છે. જ્યારે રોહિત ગંભીરનો રેકોર્ડ તોડવાથી માત્ર 7 રન પાછળ છે. જો તે કાનપુર ટેસ્ટમાં 7 રન બનાવશે તો તે રનના મામલે તેના કોચને પાછળ છોડી દેશે. ભારતીય કેપ્ટને 60 મેચની 103 ઇનિંગ્સમાં 4148 રન બનાવ્યા છે.
રહાણે અને મુરલી વિજયને પણ છોડશે પાછળ
રોહિત શર્મા કાનપુર ટેસ્ટમાં પોતાના સાથી ખેલાડીઓ અજિંક્ય રહાણે અને મુરલી વિજયનો રેકોર્ડ પણ તોડી શકે છે. વાસ્તવમાં રહાણે અને વિજયે ટેસ્ટમાં પોતાના નામે 12 સદી ફટકારી છે. જો રોહિત આ મેચમાં સદી ફટકારે છે તો સદી ફટકારવાના મામલે તે રહાણે અને વિજયથી આગળ નીકળી જશે. રોહિતના નામે પણ ટેસ્ટમાં હાલમાં 12 સદી છે.
કેપ્ટન તરીકે, રોહિત શર્માએ પણ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે તેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં પ્રભુત્વ જમાવ્યું છે. જો ભારત 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચે છે, તો રોહિત શર્મા તેની કપ્તાનીમાં બીજી વખત ફાઇનલ રમશે.