IPL 2025ની મેગા ઓક્શન પહેલા એક એવો ખેલાડી છે જે સૌથી વધુ ચર્ચામાં છે. આ બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે ગત સિઝનમાં થયેલો કેપ્ટનશિપ વિવાદ.ગત સિઝનથી ઘણા અહેવાલો સામે આવ્યા છે કે રોહિત મુંબઈ છોડીને બીજી ટીમમાં જોડાશે. જો કે હવે તેના વિશે એક નવો દાવો કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્ચાઇઝી સાથેના તેના તમામ વિવાદો ઉકેલાઈ ગયા છે. નીતા અંબાણીની ફ્રેન્ચાઇઝીએ તેના ભૂતપૂર્વ કેપ્ટનને જાળવી રાખવાની મંજૂરી આપી દીધી છે. રોહિતે પણ નક્કી કર્યું છે કે તે મુંબઈમાં જ રહેશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત વિશે શું કહ્યું?
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સના તત્કાલીન કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રેડ દ્વારા ટીમમાં સામેલ કર્યો હતો. આ માટે ફ્રેન્ચાઈઝીએ મોટી રકમ ચૂકવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈએ 100 કરોડ રૂપિયા ટ્રાન્સફર ફી ચૂકવી હતી. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ પછી, જ્યારે ફ્રેન્ચાઇઝીએ અચાનક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો, ત્યારે ચાહકો ખૂબ નારાજ થયા. અહીંથી જ રોહિત સાથેની ખટાશની શરૂઆત થઈ હતી. જો કે, તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તમામ વિવાદોનો ઉકેલ આવી ગયો છે. મુંબઈએ કહ્યું છે કે રોહિત શર્મા આ પરિવારનો મહત્વપૂર્ણ સભ્ય છે અને તેઓ તેને જાળવી રાખવા તૈયાર છે.
શું રોહિત શર્મા બનશે ફરી કેપ્ટન?
રોહિત શર્માને 2013માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળી હતી. કેપ્ટન બનતાની સાથે જ તેણે ટીમ ટ્રોફી જીતી લીધી. આ પછી તેણે 2015, 2017, 2019 અને 2020માં પણ મુંબઈને IPLમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જો કે, તે પછીના 3 વર્ષ માટે ફરીથી IPL ટ્રોફી જીતવામાં નિષ્ફળ ગયો, જેના પછી તેણે તેની કેપ્ટનશિપ ગુમાવી દીધી.
તેને 2022માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળી, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023 ODI વર્લ્ડકપની ફાઈનલ રમી અને T20 વર્લ્ડકપ 2024 કબજે કર્યો. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોટી સફળતા બાદ મુંબઈ ભલે તેને જાળવી રાખે પરંતુ આગામી સિઝનમાં તેને કેપ્ટન બનાવશે નહીં. માત્ર હાર્દિક પંડ્યા જ ટીમનું નેતૃત્વ કરશે.













